રોકેટ વૈજ્ઞાનિક એસ સોમનાથ ઈસરોના નવા અધ્યક્ષ બનશે!
કેન્દ્ર સરકારે ઈસરોના નવા અધ્યક્ષની નિમણૂક કરી છે. બુધવારે કેન્દ્ર સરકારે એસ સોમનાથને ઈસરોના અધ્યક્ષ પદની મહત્વની જવાબદારી સોંપી છે.
નવી દિલ્હી, 12 જાન્યુઆરી : કેન્દ્ર સરકારે ઈસરોના નવા અધ્યક્ષની નિમણૂક કરી છે. બુધવારે કેન્દ્ર સરકારે એસ સોમનાથને ઈસરોના અધ્યક્ષ પદની મહત્વની જવાબદારી સોંપી છે. તમને જણાવી દઈએ કે એસ સોમનાથ એ દેશના સૌથી શક્તિશાળી સ્પેસ રોકેટ GSLV Mk 3 ના લોન્ચિંગમાં મહત્વની જવાબદારી નિભાવી હતી. તેમની ઓળખ દેશના વરિષ્ઠ રોકેટ વૈજ્ઞાનિકોમાં સામેલ છે. એસ સોમનાથ કે શિવનનું સ્થાન લેશે. કે શિવનનો કાર્યકાળ શુક્રવારે પૂરો થઈ રહ્યો છે.
એસ સોમનાથે ભારતના સૌથી શક્તિશાળી સ્પેસ રોકેટ GSLV Mk-3 લોન્ચરના વિકાસનું નેતૃત્વ કર્યું છે. તેમની કારકિર્દીની શરૂઆતમાં તેમણે પીએસએલવીના વિકાસ કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એસ સોમનાથ લૉન્ચ વ્હિકલની સ્ટ્રક્ચર સિસ્ટમ્સના નિષ્ણાત છે. તેમણે ઈસરોના રોકેટ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમને લોન્ચ વ્હીકલ ડિઝાઇન કરવામાં માસ્ટર કહેવામાં આવે છે. તેઓ લોન્ચ વ્હીકલ સિસ્ટમ એન્જિનિયરિંગ, સ્ટ્રક્ચરલ ડિઝાઇન, સ્ટ્રક્ચરલ ડાયનેમિક્સ અને પાયરોટેક્નીક્સના નિષ્ણાત છે. હવે સરકારે તેમને ઈસરોની કમાન સોંપી છે. તેમને અવકાશ વિભાગના સચિવ, ISRO અને સ્પેસ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ જોડાવાની તારીખથી ત્રણ વર્ષનો રહેશે. હાલમાં એસ સોમનાથ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડાયરેક્ટરના પદ પર છે.
ઉલ્લેખનિય છે કે, ઈસરો આગામી સમયમાં અવકાશયાત્રીઓને અવશાકમાં મોકલવા તેમજ ચંદ્ર અને મંગળ પર મિશનની તૈયારી કરી રહ્યું છે. આ સમયમાં એસ સોમનાથ માટે મોટી જવાબદારી રહેશે.