કેરળ:વિવાદ બાદ RSS પ્રમુખ મોહન ભાગવતે ફરકાવ્યો ત્રિરંગો
કેરળમાં આરએસએસના ચીફ મોહન ભાગવતને ઝંડો લહેરાવતા રોકવામાં આવ્યા હતા.
સમગ્ર દેશ જ્યારે આઝાદીના 70 વર્ષ પૂર્ણ થયાની ઉજવણમાં વ્યસ્ત છે, ત્યારે કેરળના પલક્કડમાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવતને એક શાળામાં ત્રિરંગો લહેરાવતા રોકવામાં આવ્યા હતા. શહેરના કલેક્ટરે શાળાને એક મેમો જાહેર કર્યો હતો, જે અનુસાર કોઇ પણ નેતા સરકારની સહાયતા મેળવતી શાળામાં રાષ્ટ્રધ્વજ ન ફરકાવી શકે. આવી શાળામાં કોઇ શિક્ષક કે નિવૃત્ત અધિકારીને જ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની પરવાનગી આપવામાં આવે છે. આથી મોહન ભાગવતના રાષ્ટ્રધ્વજ ફરકાવવા પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
જો કે, ભાજપે કલેક્ટરના આ આદેશને બિનજરૂરી કહ્યો હતો અને કલેક્ટરને આદેશને પડકાર આપતાં કહેવામાં આવ્યું હતું કે, મોહન ભાગવત શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે. ભાજપ અને આરએસએસનું કહેવું છે કે, ઝંડા કોડ અનુસાર સ્વતંત્રતા દિવસ પર કોઇપણ શાળામાં ધ્વજારોહણ કરી શકાય છે. જો કે, વિવાદ વધતાં આખરે શાળા દ્વારા મોહન ભાગવતને ઝંડો લહેરાવવાની પરવાનગી આપવામાં આવી હતી.
Kerala: RSS Chief Mohan Bhagwat has now unfurled the national flag in Palakkad school
— ANI (@ANI) August 15, 2017