વાનખેડેના પિતાએ નવાબ મલિકની SC-ST એક્ટમાં કરી ફરિયાદ, FIR કરાવવાની માંગ
સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવે હવે નવાબ મલિક સામે એસસી-એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
મુંબઈઃ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક અને એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો સતત ચાલુ છે. વાનખેડેનો પરિવાર પણ નવાબ મલિક સામે ખુલીને ઉભો છે. સમીરના પિતા જ્ઞાનદેવે હવે નવાબ મલિક સામે એસસી-એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. તેમણે પોતાની ફરિયાદમાં પોલિસને નવાબ મલિક સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા વાનખેડે ફેમિલિએ નેતા નવાબ મલિક પર બૉમ્બે હાઈકોર્ટમાં 100 કરોડનો માનહાનિનો કેસ પણ નોંધાવ્યો છે. જેના પર બૉમ્બે હાઈકોર્ટે નવાબ મલિક પાસે જવાબ માંગ્યો છે.
પરિવારને બદનામ કરવા અને ખોટા આરોપ લગાવવાનો આરોપ
જ્ઞાનદેવ વાનખેડેએ નવાબ મલિક પર તેમના પરિવારને બદનામ કરવા અને ખોટો આરોપ લગાવવાનો આરોપ લગાવ્યો છે. તેમનુ કહેવુ છે કે તેમના દીકરા સમીરને ઈમાનદારીની સજા ભોગવવી પડી રહી છે. સમીરે નવાબ મલિકના જમાઈની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી માટે નવાબ મલિક મારા દીકરાને બદનામ કરવામાં લાગ્યા છે.
સમીર વાનખેડે પહેલા મુસ્લિમ હતા
ઉલ્લેખનીય છે કે નવાબ મલિક સતત સમીર વાનખેડે પર અંગત હુમલા કરી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે સમીર વાનખેડે પહેલા મુસ્લિમ હતા. તેમણે નોકરી મેળવવા માટે હિંદુ ધર્મ અપનાવ્યો અને ખોટી રીતે દલિત સર્ટિફિકેટ મેળવ્યુ. તેમના પિતાનુ નામ દાઉદ વાનખેડે છે. તેમની પહેલી પત્ની પણ મુસ્લિમ હતી જેમની સાથે તેમણે નિકાહ કર્યા હતા અને પછી વર્ષ 2016માં તેમના તલાક થઈ ગયા.
જાણીજોઈને આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ફસાવ્યો
નવાબ મલિકે સમીર વાનખેડે પર આરોપ લગાવ્યો છે કે તેમણે કેસના નામ પર કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે. તે ભાજપના ઘણા ક્લોઝ છે અને તેમના ઈશારે તેમણે ડ્રગ્સ કેસની આખી જાળ બનાવી છે. તેમણે જાણીજોઈને આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ફસાવ્યો છે. તેમણે કરોડોની વસૂલી કરી છે અને માટે તે 2 લાખના જૂતા પહેરે છે.