સમીર વાનખેડેની મુશ્કેલી વધી, તપાસ માટે NCBની ટીમ મુંબઈ પહોંચશે!
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) નો વિજિલન્સ વિભાગ બુધવારથી બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરશે.
નવી દિલ્હી, 26 ઓક્ટોબર : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) નો વિજિલન્સ વિભાગ બુધવારથી બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરશે. NCB મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર કેસના સાક્ષી પ્રભાકર સેલ દ્વારા કરોડોની ખંડણીનો આરોપ લગાવાયો છે. જેની તપાસ NCBની પાંચ સભ્યોની ટીમ કરશે. NCBની તપાસ ટીમ બુધવારે દિલ્હીથી મુંબઈ પહોંચશે. પાંચ સભ્યોની ટીમનું નેતૃત્વ DDG NCB જ્ઞાનેશ્વર સિંહ કરશે.
આવતીકાલે તપાસ ટીમ મુંબઈ પહોંચશે
માહિતી અનુસાર, તપાસ ટીમ સમીર વાનખેડે સિવાય સાક્ષીઓ કેપી ગોસાવી અને પ્રભાકર સેલની પણ પૂછપરછ કરશે. આ ટીમ બુધવારે સવારે 9 વાગ્યે રવાના થશે અને લગભગ 11 વાગ્યે મુંબઈ પહોંચશે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશને કહ્યું છે કે NCP નેતા નવાબ મલિક દ્વારા DG NCBને મોકલવામાં આવેલા પત્ર પર હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.
સમીર વાનખેડે પર શું આરોપ છે?
3 ઓક્ટોબરે NCB ટીમે મુંબઈમાં ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટીમાંથી કથિત રીતે કેટલાક લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યનની પણ ધરપકડ કરવામાં આવી છે. ટીમનું નેતૃત્વ કરનાર NCB અધિકારી સમીર વાનખેડેના સાક્ષી પ્રભાકર સૈલે તેમની સામે સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. પ્રભાકર સેલનું કહેવું છે કે આર્યનને છોડવા માટે 25 કરોડમાં ડીલ થવાની હતી. તેમાંથી 8 કરોડ રૂપિયા સમીર વાનખેડેને પણ આપવાના હતા.
સમીર વાનખેડે દિલ્હી પહોંચ્યા
સમીર વાનખેડે પણ ભ્રષ્ટાચારના આરોપોને લઈને મંગળવારે દિલ્હી પહોંચ્યા હતા. સમીર વાનખેડેએ અહીં કહ્યું કે, મને બોલાવવામાં આવ્યો નથી. હું અહીં એક અલગ હેતુ માટે આવ્યો છું. મારા પરના આરોપો પાયાવિહોણા છે. જણાવી દઈએ કે સમીર વાનખેડે ખૂબ જ ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે. તેમના પર તેમના પોતાના સાક્ષીએ આરોપો લગાવ્યા છે, એટલું જ નહીં એનસીપી નેતા નવાબ મલિકે પણ ખૂબ ગંભીર આરોપો લગાવ્યા છે.