આસારામને જામીન નહી, મગજની સારવાર માટે જશે AIIMS
નવી દિલ્હી, 15 ઓક્ટોબર: કિશોર છોકરી સાથે બળાત્કાર ગુજારવાના આરોપમાં જેલના સળિયા પાછળ બંધ પોતાને ભગવાન સમજનાર આસારામ બાપૂને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આસારામ બાપૂને જામીન આપવાની ના પાડી દિધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મુખ્ય સાક્ષીઓના નિવેદન દાખલ થયા બાદ જ નિયમિત જામીન પર સુનાવણી થશે. તો બીજી તરફ કોર્ટે આસારામના વચગાળાના જામીન પર પોતાનો નિર્ણય પેડિંગ રાખ્યો છે.
પરંતુ સુપ્રીમ કોર્ટે આ વાતનો સંકેત જરૂર આપ્યો છે કે મેડિકલ તપાસ માટે તેમને પોલીસ કસ્ટડીમાં દિલ્હી લઇ જવામાં આવી શકે છે. ખરાબ સ્વાસ્થ્યના આધાર પર દાખલ જામીન અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આસારામની બિમારી અને સર્જરીને લઇને એમ્સના મેડિકલ બોર્ડ સાથે ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો એમ્સનું બોર્ડ આસારામને ક્લિનિક ચેકઅપની વાત કહે છે તો તેમને કસ્ટડીમાં તપાસ માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવશે.
તમને જણાવી દઇએ કે આસારામ બાપૂને મસ્તિષક સાથે જોડાયેલી બિમારી છે. થોડા દિવસો પહેલાં સુપ્રીમ કોર્ટે જોધપુરના મથુરદાસ માથુર હોસ્પિટલને પત્ર મોકલી આ બિમારી માટે જાણીતી ગામા નાઇફ સર્જરી માટે દેશના છ હોસ્પિટલોના નામ આપીને સલાહ માંગી હતી. સુપ્રીમ કોર્ટે પત્રમાં જે હોસ્પિટલોના માન લખ્યા છે તેમાં દિલ્હી એમ્સની સાથે વેદાંતા હોસ્પિટલ, મુંબઇની હિંદુજા હોસ્પિટલ, ચેન્નઇની એપોલો અને અમદાવાદની સ્ટર્લિંગ અને એક અન્ય હોસ્પિટલના નામ સામેલ છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આસારામ બાપૂને નિયમિત જામીન આપવાની મનાઇ કરી દિધી છે.