સાતમા પગાર પંચનું કામ 15 દિવસમાં શરૂ કરાશે
નવી દિલ્હી, 11 જૂન : કેન્દ્રના કર્મચારીઓને સાતમાં પગાર પંચના લાભ સમયસર મળી શકે તે માટે નરેન્દ્ર મોદી સરકારે કમર કસી છે. આ માટે મોદી સરકારે આગામી 15 દિવસની અંદર જ આ દિશામાં કામ શરૂ કરવા માટેના આંતરિક આદેશો આપી દીધા છે.
ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા કહેવામાં આવ્યું છે કે 15 દિવસની અંદર પંચ સાથે જોડાયેલા અધિકારીઓની નિમણૂંક કરી દેવામાં આવશે. તેમને કામકાજ કરવા માટે તમામ સંસાધનો ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે યુપીએ સરકારે તેના કાર્યકાળના છેલ્લા દિવસો દરમિયાન સાતમાં વેતન પંચની રચનાને લીલીઝંડી આપી હતી. પરંતુ ત્યારબાદથી પંચની રચનાની પ્રક્રિયા શરૂ થઇ શકી નથી. સુત્રોએ કહ્યું છે કે સરકાર વાસ્તવમાં એનડીએ સરકારની અગાઉની ભુલોનું પુનરાવર્તન કરવા તૈયાર નથી.
અટલ બિહારી વાજપેયી સરકારના ગાળામાં છઠ્ઠા વેતન પંચની ભલામણોને અમલી કરવામાં વિલંબ થઇ ગયો હતો જેથી ચૂંટણીમાં પક્ષને ભારે નુકસાન થયું હતું. વેતન પંચનો લાભ આશરે 50 લાખ કેન્દ્રિય કર્મચારીઓને મળે છે. વેતન પંચની ભલામણોને અમલી બનાવી દેવામાં આવ્યા બાદ રાજ્ય સરકારો પણ આ જ રીતે પોતાના કર્મચારીઓને પગારમાં લાભ આપે છે.
આ સ્થિતીમાં સરકારના વેતન પંચ અંગેના નિર્ણયની વ્યાપક અસર થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર ગુડ ગવર્ન્સ માટે અધિકારીઓને વધુ પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમને સમયસર કામ કરવા માટે કહી રહ્યા છે.