નાણાં સચિવ: કેશની સમસ્યાને દૂર કરવા પ્રયાસ ચાલુ છે
સચિવ શક્તિકાંત દાસે જણાવ્યું કે સરકાર અને આરબીઆઇના લોકોની કેશની સમસ્યાની જલ્દી જ દૂર કરવા માટે પ્રયત્નશીલ છે.
નોટબંધીના 37માં દિવસે નાણાંને લઇને લોકોની સમસ્યા જ્યાં ઓછી નથી થઇ ત્યાં જ સરકારના આર્થિક મુદ્દાઓના સચિવ શક્તિકાંત દાસે આજે મીડિયા સમક્ષ આ અંગે જાણકારી આપી હતી. તેમણે નોટબંધી બાદ નાણાંની આ સમસ્યા અંગે સરકાર કેવા કેવા પગલા ઉઠાવી રહી છે તેની જાણકારી આપતા કહ્યું હતું કે જલ્દી જ કેશની સમસ્યાનો અંત લાવવામાં આવશે.
આર્થિક મામલાના સચિવ શક્તિકાંત દાસે જણાવ્યું કે સરકાર અને આરબીઆઇ લોકોની કેશની સમસ્યાને ઓછી કરવા માટે સતત પ્રયત્નશીલ છે. વધુમાં 500 રૂપિયાની વધુ નોટો છાપવામાં આવી રહી છે. સાથે જ 50 અને 20 રૂપિયાની નોટોની છપાઇ પણ વધારવામાં આવી છે. જેથી છૂટ્ટા રૂપિયાની મુશ્કેલી ઓછી થાય.
વધુમાં ગ્રામીણ ક્ષેત્રોમાં કેશ પહોંચાડવા માટે વિમાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી કો ઓપરેટિવ બેંકના કેશ જલ્દી પહોંચે. તેમણે આશા વ્યક્ત કરી છે કે ત્રણ અઠવાડિયાની અંદર આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. વળી 100 રૂપિયાના 80 હજાર કરોડ નવી નોટો પણ જાહેર કરવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે નોટોને કડક સુરક્ષામાં છાપવામાં આવી રહી છે. વળી નવી નોટોમાં સુરક્ષા ફિચર્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેથી કરીને તેને કોપી કરવું એટલું સરળ નથી. વળી 2000 રૂપિયાની નોટના બદલે 500 રૂપિયાની નોટ વધારે છાપવામાં આવી રહી છે.