Shraddha Case: કોર્ટે આરોપી આફતાબની ન્યાયિક કસ્ટડી લંબાવી, ગરમ કપડા આપવાના નિર્દેશ આપ્યા
શ્રદ્ધા હત્યાકાંડના આરોપી આફતાબની ન્યાયિક કસ્ટડી દિલ્લીની સાકેત કોર્ટે લંબાવી દીધી છે.
Shraddha Case: શ્રદ્ધા હત્યાકાંડના આરોપી આફતાબ પૂનાવાલાની ન્યાયિક કસ્ટડી દિલ્લીની સાકેત કોર્ટે 14 દિવસ માટે વધારી દીધી છે. આફતાબે કાયદાના પુસ્તકો પણ વાંચવા માટે માંગ્યા છે. આ પહેલા આરોપીના વકીલે કોર્ટ પાસે ગરમ કપડા આપવાની પણ માંગ કરી હતી. હવે કોર્ટે કસ્ટડી વધારવા સાથે આફતાબને ગરમ કપડા આપવાના નિર્દેશ આપ્યા છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા આરોપી આફતાબના વકીલે ગરમ કપડા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. પૂનાવાલાના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પોલીસ પાસે હોવાથી વકીલે વિનંતી કરી હતી કે તે આફતાબને આપવામાં આવે જેથી તે ગરમ કપડાં ખરીદી શકે. કોર્ટમાં આપવામાં આવેલી અરજીમાં લખવામાં આવ્યુ હતુ કે આરોપી તિહાર જેલમાં ઠંડીથી પીડાઈ રહ્યો છે અને તેની પાસે શિયાળામાં પહેરવા માટેના કપડાં પણ નથી. તેથી તેને રોજબરોજની ચીજવસ્તુઓ સાથે શિયાળા માટે ગરમ કપડા ખરીદવા પૈસાની સખત જરૂર છે.
ઉલ્લેખનીય છે કે શ્રદ્ધા મર્ડર કેસનો આરોપી આફતાબ પૂનાવાલા 9 નવેમ્બર 2022થી પોલીસ કસ્ટડીમાં છે. અગાઉ કોર્ટે આ અરજી પર આજે એટલે કે 10 જાન્યુઆરીએ વિચાર કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે અગાઉ આફતાબની ન્યાયિક કસ્ટડી પણ ચાર દિવસ માટે લંબાવવામાં આવી હતી. નોંધનીય છે કે 28 મેના રોજ, દક્ષિણ દિલ્લીના છતરપુર પહાડીમાં ભાડાના મકાનમાં આફતાબ પૂનાવાલાએ તેની ગર્લફ્રેન્ડ શ્રદ્ધાની નિર્દયતાથી હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આફતાબે શ્રદ્ધાના 35 ટુકડા કરી દીધા હતા અને મૃતદેહને દક્ષિણ દિલ્લી અને નજીકના જંગલોમાં ફેંકી દીધો હતો.