મુંબઇ, 14 એપ્રિલ: શિવસેનાના મુખપત્ર સામનામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધી પર આ પ્રહાર એટલા માટે કરવામાં આવ્યો કારણ કે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેનને લઇને તેમના લગ્નેતર જીવન પર ટિપ્પણી કરી હતી.
સામનામાં રાહુલ ગાંધી પર પ્રહાર કરતા લખવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી પર કંઇપણ કમેન્ટ કરતા પહેલા કોંગ્રેસ પાર્ટીએ પહેલા રાહુલ ગાંધીના લગ્ન કરાવી દેવા જોઇએ. મુખપત્રમાં લખવામાં આવ્યું છે કે જે એવું વિચારે છે કે મોદીના વૈવાહિક જીવનને ચર્ચામાં લાવીને તેઓ રાજકીય લાભ ખાટી શકશે તો તેઓ બેવકૂફ છે. મીડિયા તરફથી જ્યારે રાહુલ ગાંધીને મોદીના લગ્નેત્તર જીવન વિશે કરવામાં આવેલા પ્રહાર પર પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે મેં મોદીજીના અગંત જીવન વિશે કોઇ ટિપ્પણી કરી નથી, મેં માત્ર સવાલ ઉઠાવ્યો છે કેમણે આ પહેલા શા માટે આ ખાનું ખાલી રાખતા હતા.
મોદીએ 2012ની વિધાનસભા ચૂંટણીમાં આ કોલમ ખાલી રાખી હતી, અહીં સુધી તેમણે અત્યાર સુધી ચાર જેટલી ચૂંટણીઓ લડી છે તમામમાં તેમણે પત્નીના નામનો ઉલ્લેખ કર્યો ન્હોતો. જોકે 2014ની લોકસભા ચૂંટણીમાં મોદીએ પોતાની પત્નીના નામથી કોઇ સંપત્તિની જાહેરાતવાળા કોલમમાં કોણી માહિતી નથી એવું લખ્યું છે.