ભાજપને શિવસેનાનો વધુ એક ઝટકો, મમતાની રેલીમાં શામેલ થશે ઉદ્ધવ!
એનડીએમાં શામેલ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મેગા રેલીમાં શામેલ થઈ શકે છે.
2019 ની લોકસભા ચૂંટણી માટે બધા મુખ્ય પક્ષોએ રાજકીય ગણિત બેસાડવાના શરૂ કરી દીધા છે. ભાજપના નેતૃત્વવાળી એનડીએ માટે એક ચોંકવનારા સમાચાર આવી રહ્યા છે. જાણકારી મુજબ એનડીએમાં શામેલ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મેગા રેલીમાં શામેલ થઈ શકે છે. મમતા બેનર્જીની આ મેગા રેલી આવતા વર્ષે જાન્યુઆરીમાં થવાની છે. લોકસભા ચૂંટણીમાં વિપક્ષી એકતાના શક્તિ પ્રદર્શન માટે મમતા બેનર્જીએ કોલકત્તામાં આ મેગા રેલીના આયોજનની યોજના બનાવી છે.
મમતાની રેલીમાં ઉદ્ધવ થઈ શકે છે શામેલ
આવતા વર્ષે 19 જાન્યુઆરીએ યોજાનાર આ મેગા રેલીને સફળ બનાવવા માટે મમતા બેનર્જી પોતે તૈયારીમાં લાગેલા છે. આ જ કારણ છે કે મમતા બેનર્જી મંગળવારે દિલ્હી પહોંચ્યા જ્યાં તેમણે અલગ અલગ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત કરી. માનવામાં આવી રહ્યુ છે કે તેમણે પોતાની રેલીમાં મુખ્ય વિપક્ષ દળોને આમંત્રિત કરવા માટે આ રણનીતિ અપનાવી. હાલમાં સંસદનું મોન્સુન સત્ર ચાલી રહ્યુ છે ત્યારે મોટા નેતાઓ સાથે મુલાકાત માટે તે દિલ્હી પહોંચી ગયા છે.
દિલ્હીમાં સંજય રાઉતને મળ્યા ટીએમસી સુપ્રિમો
બુધવારે ટીએમસી સુપ્રિમોએ કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએ ગઠબંધની ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિપક્ષી પાર્ટીઓના મોટા નેતાઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન મમતા બેનર્જીએ બુધવારે શિવસેના સાંસદ સંજય રાઉત સાથે સંસદ ભવનમાં મુલાકાત કરી. માનવામાં આવી રહ્યુ છે કે આ દરમિયાન મમતાએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને કોલકત્તામાં 19 જાન્યુઆરીના રોજ યોજાનાર મેગા રેલીમાં આવવા માટે આમંત્રિત કર્યા.
વિપક્ષી એકતા દર્શાવવા મમતાનો દાવ
સૂત્રો મુજબ સંજય રાઉતે મમતા બેનર્જીને કહ્યુ છે કે ઉદ્ધવ ઠાકરે આ મેગા રેલીમાં આવશે. ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનર્જી વચ્ચે નવેમ્બર 2016 થી સંબંધો સારા ચાલી રહ્યા છે. નોટબંધી દરમિયાન ટીએમસીના સાંસદો તરફથી પ્રદર્શનમાં શિવસેના સાંસદોએ સાથ આપ્યો હતો. જૂનમાં ટીએમસી પ્રમુખે શિવસેનાના 52માં ફાઉન્ડેશન ડે પર ઉદ્ધવ ઠાકરેને ટ્વિટર પર અભિનંદન પણ પાઠવ્યા હતા.
સોનિયા-રાહુલ સાથે મમતાએ કરી મુલાકાત
તમને જણાવી દઈએ કે શિવસેના પહેલેથી જ ભાજપના વલણથી નારાજ છે. આ જ કારણ છે કે આ વખતે મોન્સુન સત્ર દરમિયાન ટીડીપી દ્વારા લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન શિવસેના સાંસદે તેનો બોયકોટ કર્યો હતો. આ ઉપરાંત પણ ઘણા એવા પ્રસંગોએ શિવસેનાએ ભાજપથી અલગ વલણ રજૂ કર્યુ હતુ. મમતા બેનર્જી નવેમ્બરથી આખા દેશનો પ્રવાસ કરશે. વિભિન્ન રાજકીય દળોને પોતાની મેગા રેલીમાં શામેલ થવા માટે આમંત્રિત કરશે. બીજી તરફ ભાજપે પણ 23 જાન્યુઆરી, 2019 ના રોજ કોલકત્તામાં રેલીનું આયોજન કરવાની યોજના બનાવી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રેલીને સંબોધિત કરશે.