Shraddha Case: આફતાબના નાર્કો ટેસ્ટ બાદ હવે આજે થશે પોસ્ટ ટેસ્ટ ઈન્ટરવ્યુ, FSLની 4 સભ્યોની ટીમ જશે તિહાડ
શ્રદ્ધા વૉકર હત્યાકાંડ મામલે શુક્રવારે આફતાબ પૂનાવાલાનો પોસ્ટ નાર્કો ટેસ્ટ એટલે કે પોસ્ટ ટેસ્ટ ઈન્ટરવ્યુ કરવામાં આવશે.
Shraddha Case: શ્રદ્ધા વૉકર હત્યાકાંડ મામલે શુક્રવારે આફતાબ પૂનાવાલાનો પોસ્ટ નાર્કો ટેસ્ટ એટલે કે પોસ્ટ ટેસ્ટ ઈન્ટરવ્યુ કરવામાં આવશે તેમ એફએસએલના અધિકારીઓએ ગુરુવારે સાંજે જણાવ્યુ હતુ. અધિકારીઓ તિહાડ જેલ પહોંચીને આફતાબને પોસ્ટ નાર્કો ટેસ્ટ કરશે. જે સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી કરવામાં આવશે. અધિકારીઓનુ કહેવુ છે કે દિલ્લીમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL)કાર્યાલયની બહાર આરોપી પર હુમલો કરવામાં આવ્યો હતો માટે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે.
દિલ્હી પોલીસ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યુ હતુ કે આફતાબનો નાર્કો ટેસ્ટ રાષ્ટ્રીય રાજધાનીમાં રોહિણી સ્થિત બાબા સાહેબ આંબેડકર હૉસ્પિટલમાં કરવામાં આવ્યો હતો. દિલ્લી પોલીસની કડક સુરક્ષામાં આફતાબને તિહાર જેલમાંથી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. સવારે 9 વાગ્યે નાર્કો ટેસ્ટ માટે હૉસ્પિટલમાં લાવવામાં આવેલા આફતાબનુ બ્લડ પ્રેશર, પલ્સ રેટ, શરીરનુ તાપમાન અને હૃદયના ધબકારા તપાસવામાં આવ્યા હતા. નાર્કો ટેસ્ટ માટે સંમતિ ફોર્મ પર સહી કર્યા બાદ આફતાબને એનેસ્થેસિયા આપવામાં આવ્યો હતો. આ પછી નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો.
એફએસએલ અધિકારીઓની ટીમ દ્વારા નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં ફોટો એક્સપર્ટ, ફોરેન્સિક સાયકોલોજી એક્સપર્ટ અને ફોરેન્સિક મેડિસિનના ડૉક્ટર અને આંબેડકર હૉસ્પિટલની નાર્કો વિંગના નોડલ ઑફિસર હાજર રહ્યા હતા. 11:45 વાગ્યે આફતાબનો નાર્કો ટેસ્ટ પૂરો થયા બાદ તેને ડૉક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યો હતો અને સાયકોથેરેપી આપવામાં આવી હતી. જ્યારે આફતાબ હોશમાં આવ્યો ત્યારે દિલ્લી પોલીસની ટીમ તેને સંપૂર્ણ સુરક્ષા સાથે તિહાર જેલમાં લઈ ગઈ.
તમને જણાવી દઈએ કે સોમવારે કેટલાક તલવારધારીઓએ આફતાબને લઈ જઈ રહેલી દિલ્લી પોલીસની વાન પર હુમલો કર્યો હતો. આ પછી તેની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. IPS અધિકારી અને વિશેષ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) ઝોન II સાગર પ્રીત હુડ્ડાના જણાવ્યા મુજબ મહેરૌલી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 365, 302, 201 હેઠળ નોંધાયેલા કેસના આરોપી આફતાબનો નાર્કો ટેસ્ટ સફળ રહ્યો હતો. રસપ્રદ વાત એ છે કે દિલ્લી પોલીસે કોર્ટને કહ્યુ હતુ કે હત્યારો સવાલોના ભ્રામક જવાબો આપી રહ્યો હતો. ત્યાર બાદ કોર્ટે પોલીસને આફતાબનો પૉલીગ્રાફ ટેસ્ટ અને નાર્કો એનાલિસિસ કરવાની પરવાનગી આપી હતી.
નાર્કો પહેલા પૉલીગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. દિલ્લી પોલીસે જણાવ્યુ હતુ કે અગાઉ રાષ્ટ્રીય રાજધાનીમાં ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરી ઑફિસમાં પૉલીગ્રાફ ટેસ્ટ દરમિયાન આફતાબે આ વર્ષે મે મહિનામાં શ્રદ્ધાની હત્યા કરી અને તેના શરીરના ઘણા ટૂકડા કર્યા હોવાની કબૂલાત કરી હતી. નોંધનીય વાત એ છે કે આફતાબ પર એ પણ આરોપ છે કે તેણે શરીરના કપાયેલા અંગોને રેફ્રિજરેટરમાં સ્ટોર કર્યા અને ધીમે-ધીમે બૉડી પાર્ટસને ડિસ્પોઝ કર્યા.