Shraddha murder case: આફતાબનો પરિવાર ગાયબ, અજ્ઞાત સ્થળે ભાગી ગયા, દીકરાની હરકતો વિશે ખબર હતી...
મહારાષ્ટ્ર પાલઘરના માનિકપુર પોલીસે કહ્યુ કે આરોપી આફતાબ પૂનાવાલાનો પરિવાર અજ્ઞાત સ્થળે ભાગી ગયો છે.
Shraddha murder case: દિલ્લીમાં ચકચાકી શ્રદ્ધા વૉકર હત્યાકાંડ વિશે રોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મહારાષ્ટ્ર પાલઘરના માનિકપુર પોલીસે કહ્યુ કે આરોપી આફતાબ પૂનાવાલાનો પરિવાર અજ્ઞાત સ્થળે ભાગી ગયો છે. તેના પરિવાર વિશે કંઈ જાણવા નથી મળી રહ્યુ. આફતાબનો પરિવાર કોઈને જણાવ્યા વિના અજ્ઞાત સ્થળે શિફ્ટ થઈ ગયો છે. આફતાબની ધરપકડ પછી પોલિસ તેના પરિવારને શોધી રહી છે પરંતુ તેમની કોઈ ભાળ નથી મળી રહી.

પરિવાર પણ માણિકપુર પોલીસના સંપર્કમાં નથી..
પોલીસે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યુ, 'જ્યારે માણિકપુર પોલીસે આફતાબને વસઈ બોલાવ્યા બાદ તેનુ નિવેદન લીધુ ત્યારે આફતાબનો પરિવાર કોઈ અજાણી જગ્યાએ ચાલ્યો ગયો. આફતાબનો પરિવાર પણ માણિકપુર પોલીસના સંપર્કમાં નથી. આ કેસમાં શ્રદ્ધા વૉકરના પરિવારજનોએ માણિકપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં આફતાબને બે વખત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. આ પૂછપરછ બાદ તેનો પરિવાર કોઈ અજાણી જગ્યાએ શિફ્ટ થઈ ગયો છે.

પરિવારને દીકરાની હરકતો વિશે ખબર હતી...
સૂત્રોના જણાવ્યા મુજબ, 'આફતાબે પૂછપરછ દરમિયાન અગાઉ કહ્યુ હતુ કે તે અને શ્રદ્ધા હવે સાથે નથી રહેતા.' પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ કે પરિવારને પોલીસની જાણ વગર અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યો હતો કારણ કે તેઓ પહેલેથી જ તેમના પુત્રની હરકતોથી વાકેફ હતા. તેથી તેઓ પોલીસને જાણ કર્યા વિના ભાગી ગયા.'

શિફ્ટિંગ વખતે આફતાબ ગયો હતો પોતાના ઘરે...
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, 'શિફ્ટિંગ સમયે આફતાબ પણ તેના ઘરે ગયો હતો. આફતાબ ઘરમાંથી તેનો કેટલોક સામાન સાથે લઈ ગયો હતો. માણિકપુર પોલીસ દ્વારા જાહેર કરાયેલા પ્રથમ સમન્સ બાદ જ પરિવાર શિફ્ટ થઈ ગયો હતો.' 26 ઓક્ટોબરે માણિકપુર પોલીસે પહેલીવાર આફતાબનુ નિવેદન લીધુ હતુ. જો કે તે મૌખિક હતુ જેમાં તેણે માત્ર ઝઘડા પછી શ્રદ્ધાના જવાની વાત કરી હતી. જ્યારે મામલો સામે આવ્યો ત્યારે પોલીસે આફતાબને બીજીવાર 3 નવેમ્બરે બોલાવ્યો. માનિકપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ આ મામલે 8 નવેમ્બરે દિલ્લી ગયા હતા.

આફતાબે શ્રદ્ધાના બેંક અકાઉન્ટમાંથી ટ્રાન્સફર કર્યા 54 હજાર
સૂત્રોના જણાવ્યા મુજબ આફતાબનુ લેખિત નિવેદન 3 નવેમ્બરે લેવામાં આવ્યુ હતુ. આ સમન્સ દરમિયાન પોલીસે આરોપીને ડોક્યુમેન્ટ્સ, બેંક ખાતાની વિગતો, મોબાઈલ ફોનનુ લોકેશન રજૂ કર્યુ હતુ. જેનો તેની પાસે કોઈ જવાબ નહોતો. આફતાબના જૂઠ્ઠાણાનો પર્દાફાશ આફતાબના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી થયો હતો જે તેણે શ્રદ્ધાના બેંક એકાઉન્ટમાંથી તેના એકાઉન્ટમાં કર્યુ હતુ. તેણે પોલીસને જણાવ્યુ કે તેને શ્રદ્ધાના મોબાઈલ ફોનનો પાસવર્ડ ખબર છે. જેના કારણે તે 54,000 રૂપિયા ટ્રાન્સફર કરી શક્યો. પોલીસના જણાવ્યા મુજબ આફતાબે ગુનો કર્યા બાદ પણ શ્રદ્ધાના એટીએમ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો.












Click it and Unblock the Notifications
