Shraddha Murder Case: આફતાબને આજે દિલ્લીની સાકેત કોર્ટમાં વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી રજૂ કરાશે
પોતાની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વૉકરની હત્યા કરી તેના 32 ટૂકડા કરવા જેવા જધન્ય ગુનાના આરોપી આફતાબ પૂનાવાલાને આજે રજૂ કરાશે.
Shraddha Murder Case: પોતાની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વૉકરની હત્યા કરી તેના 32 ટૂકડા કરવા જેવા જધન્ય ગુનાના આરોપી આફતાબ પૂનાવાલાને આજે એટલે કે 9 ડિસેમ્બરે દિલ્લીની સાકેત કોર્ટમાં વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી રજૂ કરવામાં આવી શકે છે. હાલમાં તે શ્રદ્ધાની હત્યાના ગુનામાં તિહાર જેલમાં બંધ છે. 10 દિવસ પહેલા 4-5 લોકોએ આફતાબને લઈ જતી વાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો માટે સુરક્ષા કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો તેમ અધિકારીએ જણાવ્યુ હતુ.
તિહાર જેલે કરી વિશેષ સુરક્ષાની માંગ
અહેવાલો મુજબ તિહાર જેલે દિલ્લી પોલીસની થર્ડ બટાલિયનને આફતાબને વિશેષ સુરક્ષા આપવા કહ્યુ છે. પોલીસ આરોપી વિરુદ્ધ પુરાવા કોર્ટમાં રજૂ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આફતાબને દિલ્લીની આંબેડકર હૉસ્પિટલમાંથી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 13 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જ્યાં કથિત રીતે સ્વીકારવામાં આવ્યુ હતુ કે તેણે તેની ગર્લફ્રેન્ડની હત્યા કરી હતી. ટેસ્ટ દરમિયાન તેણે એ પણ ખુલાસો કર્યો કે તેણે શ્રદ્ધાના કપડા ક્યાં ફેંક્યા હતા. બાદમાં ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) નિષ્ણાતોએ પોસ્ટ નાર્કો ટેસ્ટ દરમિયાન આફતાબ સાથે પણ વાતચીત કરી હતી. પોસ્ટ-નાર્કો ટેસ્ટ એ કોઈપણ વિષયના નાર્કો ટેસ્ટનો આવશ્યક ભાગ છે અને તેના વિના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા અધૂરી છે.
આફતાબ 'ખૂબ જ ચાલાક' છે અને કેસમાં 'નવો વળાંક' લાવી શકે
જેલ સત્તાવાળાઓએ જણાવ્યુ કે આફતાબ જેલમાં મોટાભાગે ચેસ રમે છે. ઘણીવાર એકલો રમે છે. બીજા બે કેદીઓ તેની સાથે સેલમાં હોય છે. જેની સાથે તે ક્યારેક ઝઘડો પણ કરે છે. એક તપાસ અધિકારીએ કહ્યુ કે આફતાબ 'ખૂબ જ ચાલાક' છે અને કેસમાં 'નવો વળાંક' લાવી શકે તેમ છે. આફતાબે તિહાર જેલ પ્રશાસનને કોઈ અંગ્રેજી નવલકથા આપવા માટે કહ્યુ હતુ. ગયા શનિવારે તેને ધ ગ્રેટ રેલવે બજારઃ બાય ટ્રેન થ્રૂ એશિયા પુસ્તક આપવામાં આવ્યુ હતુ. જેલ અધિકારીઓએ કહ્યુ કે આ પુસ્તક ગુના આધારિત નથી માટે તેને આપવામાં આવ્યુ છે. આ પુસ્તક વાંચીને આફતાબ પોતાને કે અન્ય કોઈને નુકશાન પહોંચાડી શકે તેમ નથી.
આવતા સપ્તાહે આવશે શ્રદ્ધાનો ડીએનએ રિપોર્ટ
નાર્કો ટેસ્ટ દરમિયાન આફતાબે જણાવ્યુ હતુ કે તેણે શ્રદ્ધાના શરીરના ચાઈનીઝ ચોપર વડે ટૂકડા કર્યા હતા. બાદમાં ચોપરને ગુરુગ્રામમાં તેની ઑફિસ નજીક ઝાડીઓમાં ક્યાંક ફેંકી દીધુ હતુ. શ્રદ્ધાનુ માથુ મહરૌલીના જંગલમાં ફેંકી દીધુ હતુ અને શ્રદ્ધાનો ફોન મુંબઈના દરિયામાં ફેંકી દીધો હતો. જો કે, પોલીસ હજુ સુધી શ્રદ્ધાનુ માથુ શોધી શકી નથી કે ફોન પણ રિકવર કરી શકી નથી. પોલીસ સૂત્રો મુજબ શ્રદ્ધાનો ડીએનએ રિપોર્ટ આવતા સપ્તાહ સુધીમાં આવી જશે.