તો આ સમયે મળશે જમ્મુ કશ્મીરને પુર્ણ રાજ્યનો દરજ્જો!
કેન્દ્ર સરકારે સંસદમાં જમ્મુ-કાશ્મીરને રાજ્યનો અધિકાર આપવા સંદર્ભે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
કેન્દ્ર સરકારે સંસદમાં જમ્મુ-કાશ્મીરને રાજ્યનો અધિકાર આપવા સંદર્ભે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગૃહ મંત્રાલય વતી, સંસદમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બનશે ત્યારે કેન્દ્ર શાસિત રાજ્યને પુર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં કહ્યું હતું કે, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તેનો નિર્ણય લેવામાં આવશે. શિવસેનાની રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે આ વાત કહી. તેમણે કહ્યું કે એકવાર પરિસ્થિતિ સામાન્ય થઈ જાય, ત્યારબાદ જમ્મુ-કાશ્મીરને રાજ્ય બનાવવામાં આવશે.
5 ઓગસ્ટ, 2019 ના રોજ જમ્મુ-કાશ્મીરનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. આ હેઠળ લદ્દાખને અલગ કરી લદાખ અને જમ્મુ-કાશ્મીર બંનેને કેન્દ્ર શાસિત પ્રદેશોનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જો કે, બંનેમાંથી માત્ર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા હશે, જ્યારે લદ્દાખની રચના ચંદીગઢ મોડેલ પર કરવામાં આવી છે. નિત્યાનંદ રાયે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અંગે સાંસદ સસ્મિત પાત્રા દ્વારા પૂછેલા સવાલનો જવાબ આપ્યો હતો. ગૃહ રાજ્ય પ્રધાને કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની ઘટનાઓમાં 2019 ની તુલનામાં 2020 માં 59 ટકાનો ઘટાડો થયો છે.
આ ઉપરાંત ગત વર્ષની તુલનામાં જૂન 2021 સુધી આતંકવાદની ઘટનાઓમાં 31 ટકાનો ઘટાડો થયો છે. નિત્યાનંદ રાયે કહ્યું હતું કે આતંકવાદ અંગે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ છે. વર્ષોથી કેન્દ્રશાસિત પ્રદેશોની સુરક્ષાને મજબૂત બનાવવા માટે અનેક પગલા લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હવે કાશ્મીરમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન અસરકારક બની રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા છે. આ સિવાય કાશ્મીરી પંડિતોના વિસ્થાપન અંગે ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે હાલમાં કાશ્મીરી પંડિતો અને ડોગરા હિન્દુઓના 900 પરિવારો ખીણમાં વસવાટ કરી રહ્યા છે.