...તો યુપીમાં ભાજપનો ખેલ બગડી રહ્યો છે, કંઈક આવા છે સમીકરણો!
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને માહોલ જામી રહ્યો છે. આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલા જ ન્યૂઝ ચેનલોના સર્વેએ રાજકીય પક્ષોના ધબકારા વધારવાનું શરૂ કરી દીધું છે.
નવી દિલ્હી, 14 નવેમ્બર : ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને માહોલ જામી રહ્યો છે. આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલા જ ન્યૂઝ ચેનલોના સર્વેએ રાજકીય પક્ષોના ધબકારા વધારવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા ત્રણ મહિનાથી દર મહિને જાહેર કરવામાં આવતા ABP C વોટર સર્વેના પરિણામોમાં જ્યાં બીજેપી ગઠબંધન ફરી એકવાર યુપીમાં સરકાર બનાવતું જોવા મળી રહ્યું છે, ત્યાં સમાજવાદી પાર્ટી બીજા નંબરની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. જો કે છેલ્લા ત્રણ મહિના દરમિયાનના સર્વેના પરિણામો પર નજર કરીએ તો દર વખતે ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનની બેઠકો ઘટી રહી છે, જે ભાજપ માટે મોટા ટેન્શનનું કારણ છે.
સૌ પ્રથમ છેલ્લા ત્રણ મહિના દરમિયાન આવેલા એબીપી સી વોટર સર્વેના પરિણામો પર નજર કરીયે તો, સપ્ટેમ્બરમાં સર્વેના પરિણામો જાહેર કરવામાં આવ્યા ત્યારે અંદાજ લગાવવામાં આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી યુપી વિધાનસભા ચૂંટણીમાં 259-267 બેઠકો જીતી શકે છે. આ પછી ઓક્ટોબરમાં સર્વેના પરિણામો જાહેર થયા અને ભાજપને 241-249 બેઠકો મળવાનો અંદાજ હતો. એટલે કે સર્વેના પરિણામોમાં ભાજપને 18 બેઠકોનું નુકસાન થયું છે. તાજેતરમાં જ્યારે નવેમ્બર મહિના માટેનો સર્વે ગુરુવારે આવ્યો ત્યારે ભાજપની અંદાજિત બેઠકોની સંખ્યા ઘટીને 213-221 થઈ ગઈ છે.
આ સર્વેના પરિણામો પર નજર કરીએ તો ત્રણ મહિનાના ગાળામાં ભાજપ 45થી વધુ સીટો ગુમાવી રહી છે. જો કે આ માત્ર ચૂંટણી પૂર્વેના સર્વે છે અને તેના આધારે કોઈપણ પક્ષની કામગીરી અંગે અંતિમ અભિપ્રાય ન બનાવી શકાય, પરંતુ ત્રણ મહિનામાં આંકડાનો આ તફાવત ભાજપ માટે મુશ્કેલી ઊભી કરવાનું મોટું કારણ છે. નોંધપાત્ર વાત એ છે કે યુપીમાં વિધાનસભાનો કાર્યકાળ માર્ચ 2022માં સમાપ્ત થઈ રહ્યો છે અને 403 બેઠકો પર બહુમત માટે 202 બેઠકોનો આંકડો જરૂરી છે.
છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ યુપીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો સીટોની વાત કરીએ તો ભાજપ અને તેના સહયોગી દળોએ કુલ 325 સીટો જીતી હતી, જેના પછી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. જો કે સીએમ યોગી અને ભાજપના ટોચના નેતાઓ હજુ પણ યુપીમાં 300થી વધુ સીટો મેળવવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ ચૂંટણી સર્વેમાં અનુમાનિત સીટોની ઘટતી સંખ્યા તેમના દાવા પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી રહી છે.