રાજસ્થાનમાં મોટી ઉથલપાથલના એંધાણ, સોનિયા ગાંધી-સચિન પાયલટની મુલાકાત ગેહલોતની ખુરશી છીનવશે?
કોંગ્રેસમાં હાલ એક સાંધે અને તેર તુટે જેવી સ્થિતી છે. છેલ્લા એક અઠવાડીયાથી રાજસ્થાન કોંગ્રેસના નેતાઓ સામસામ આવી ગયા છે. આ સ્થિતીમાં કોંગ્રેસ હાઈકમાન માટે પણ પરિસ્થિતીને થાળે પાડવી મુશ્કેલ બની રહી છે.
નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર : કોંગ્રેસમાં હાલ એક સાંધે અને તેર તુટે જેવી સ્થિતી છે. છેલ્લા એક અઠવાડીયાથી રાજસ્થાન કોંગ્રેસના નેતાઓ સામસામ આવી ગયા છે. આ સ્થિતીમાં કોંગ્રેસ હાઈકમાન માટે પણ પરિસ્થિતીને થાળે પાડવી મુશ્કેલ બની રહી છે. હવે આ તમામ ઘટનાક્રમ વચ્ચે મોટી ઉથલપાથલના એંઘાણ વરતાઈ રહ્યા છે.

રાજસ્થાનના ઘટનાક્રમે રાજસ્થાનમાં કોંગ્રેસનો બન્યો બનાવેલો ખેલ બગાડ્યો છે. નેતાઓના બેફામ નિવેદનો બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી માફી પણ માંગી લીધી છે. જો કે આ ઘટનાક્રમ અશોક ગેહલોને ભારે પડી રહ્યો હોય તેવુ લાગી રહી છે.
મળતી માહિતી મુજબ, આજે કોંગ્રેસ નેતા સચિન સોનિયા ગાંધીને મળવા 10 જનપથ પહોંચ્યા હતા. આ બેઠકના મોટા મતલબ સામે આવી રહ્યા છે. સંકેતો એવા પણ છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ખુરશી પણ જઈ શકે છે.
સચિન પાયલટની સોનિયા ગાંધી સાથે મુલાકાત લગભગ એક કલાક સુધી ચાલી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા સચિન પાયલટે કહ્યું કે, હું આજે કોંગ્રેસ અધ્યક્ષને મળ્યો હતો. તેણે મારી વાત શાંતિથી સાંભળી. તાજેતરમાં જયપુરમાં જે બન્યું તેના પર અમે વિગતવાર ચર્ચા કરી હતી. મેં તેમને મારી પ્રતિક્રિયાઓ જણાવી. અમે બધા મહેનત કરીને 2023ની ચૂંટણી જીતવા માંગીએ છીએ. આપણે સાથે મળીને કામ કરવાનું છે.
આ પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ લગભગ દોઢ કલાક સુધી સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ અશોક ગેહલોતે સ્પષ્ટ કર્યું કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે મેં કોંગ્રેસ અધ્યક્ષ સાથે વાત કરી છે. મેં હંમેશા વફાદાર સૈનિક તરીકે કામ કર્યું છે. ધારાસભ્ય દળની બેઠકના દિવસે બનેલી ઘટનાએ સૌને હચમચાવી દીધા હતા.
હલોતે કહ્યું કે મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવું કે નહીં તે સોનિયા ગાંધી નક્કી કરશે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આજે કહ્યું કે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી આગામી એક-બે દિવસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અંગે નિર્ણય કરશે.
કેસી વેણુગોપાલનું આ નિવેદન સામે આવ્યા બાદ અને સોનિયા ગાંધી અને સચિન પાયલટ વચ્ચેની મુલાકાત બાદ મીડિયામાં એવા સવાલો ઉઠી રહ્યા છે કે શું સોનિયા રાજસ્થાનમાં કમાન બદલશે? આ દરમિયાન એવા સમાચાર પણ સામે આવ્યા છે કે રાજસ્થાનમાં ફરીથી ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવશે. સુપરવાઈઝર ફરી જયપુર જશે. એક લાઈનનો પ્રસ્તાવ પસાર કરવામાં આવશે. પ્રસ્તાવમાં લખવામાં આવશે કે સોનિયા ગાંધી મુખ્યમંત્રી નક્કી કરશે.












Click it and Unblock the Notifications
