લોકસભામાં કોંગ્રેસના નેતા તરીકે મલ્લિકાર્જુન ખડગેની નિયુક્તિ
નવી દિલ્હી, 3 જૂન : કોંગ્રેસ દ્વારા એક આશ્ચર્યજનક નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ લોકસભામાં પાર્ટીના નેતા તરીકે પુત્ર અને પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને નહીં, પણ ભૂતપૂર્વ રેલવે પ્રધાન મલ્લિકાર્જુન ખડગેને નિયુક્ત કર્યાં છે.
ખડગેએ પાર્ટીએ સોંપેલી આ નવી કામગીરીનો કાર્યભાર સંભાળવા માટે દિલ્હી જતા પૂર્વે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે અમારી પાર્ટી લોકસભા ગૃહમાં માત્ર કહેવા ખાતર વિપક્ષ તરીકેની સેવા નહીં બજાવે, પણ દેશ તથા સમાજના બહોળા હિતમાં મુદ્દા આધારિત કામગીરી કરશે.
પીઢ કોંગ્રેસી નેતા ખડગે 45 વર્ષથી રાજકારણમાં છે. તેઓ ક્યારે પણ ચૂંટણીમાં હાર્યા નથી. તેમણે જણાવ્યું છે કે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ મોદી સરકારની ભૂલો પર પ્રકાશ પાડવાની પોતાની જવાબદારી અદા કરશે.
આ કામગીરી માટે પોતાની પર વિશ્વાસ મૂકવા બદલ સોનિયા ગાંધીનો આભાર માનતાં ખાડગેએ કહ્યું કે પક્ષપ્રમુખની અપેક્ષાને અનુરૂપ મારી કામગીરી બજાવીશ. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તથા અન્ય નેતાઓનું માર્ગદર્શનમાં હું દેશના હિતમાં નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી મારી જવાબદારી નિભાવીશ.