નવી દિલ્હી, 20 મે : લોકસભા ચૂંટણી 2014માં કોંગ્રેસ પાર્ટીને મળેલી હાર બાદ માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતાનું પદ લેવા માંગતા નથી.
આ કારણે કોંગ્રેસના સૌથી વરિષ્ઠ સાંસદ કમલનાથ સંસદમા વિપક્ષના નેતા બને તેવી સંભાવનાઓ પ્રબળ બની છે.
કમલનાથ વિપક્ષના નેતા બની શકે છે. જો લોકસભા અધ્યક્ષ નિયમોમા છૂટ આપે છે અથવા સંપૂર્ણ યુપીએને એક એકમની માન્યતા આપવામાં આવી છે જેના કુલ સભ્ય 56 છે.
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 44 બેઠકો મળી છે. મુખ્ય વિપક્ષી દળની માન્યતા પ્રાપ્ત કરવા માટે કોઇ પાર્ટીની પાસે 543 સભ્યોની લોકસભામાં ઓછામાં ઓછી 10 ટકા સભ્યસંખ્યા એટલે કે 55 સભ્યો હોવા જોઇએ.
જો કે આ જરૂરિયાત અંગે કશું જ બંધારણીય નથી. લોકસભા અધ્યક્ષ તેને હટાવી શકે છે. એવી પણ ધારણા છે કે અન્નાદ્રમુક અને તૃણમૂલ કોંગ્રેસ વિપક્ષના નેતા પદનો દાવો કરવા માટે સાથે આવી શખે છે. તેમની સીટોની સંખ્યા ક્રમશ: 37 અને 34 છે.