મોદી કેબિનેટનો થઇ શકે છે વિસ્તાર, મનોહર પર્રિકર બની શકે છે રક્ષામંત્રી: સૂત્ર
નવી દિલ્હી, 5 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રા પહેલાં કેન્દ્રિય કેબિનેટમાં વિસ્તારની ચહેલ પહેલ થઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી કેબિનેટનું જલદી વિસ્તરણ થઇ શકે છે. કહેવામાં આવે છે કે મોદીના કેબિનેટનું વિસ્તરણ 9 થી 11 નવેમ્બર વચ્ચે થઇ શકે છે. આ વિસ્તાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ વિસ્તારમાં ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરના કેબિનેટમાં સામેલ થવાની ચર્ચા જોરશોરથી થઇ રહી છે. માનવામાં આવે છે કે મોદી ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને રક્ષા મંત્રી બનાવવા માંગે છે. મનોહર પર્રિકર સાફ સુથરી છબિવાળા પ્રશાસક છે એટલા માટે મોદી તેમણે રક્ષામંત્રી બનાવવા માંગે છે.
મંત્રીપદ માટે ચાલી રહેલા બીજા નામોમાં જયંત સિંહા, હંસરાજ આહીરનું પણ નામ સામે આવી રહ્યું છે. માનવામાં આવે છે કે આ મંત્રીમંડળ વિસ્તારમાં કેટલાક યુવાનોને પણ જગ્યા મળી શકે છે. રાજસ્થાન જેવા રાજ્યોની કેન્દ્ર સરકારમાં હાજરી ઓછી છે, ત્યાંથી મંત્રી બનાવી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 થી 8 નવેમ્બરના રોજ વારાણસીમાં રહેશે. 12 નવેમ્બરના રોજ તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જઇ રહ્યાં છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર 10 થી 14 નવા મંત્રીઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે. હાલ સ્વતંત્ર હવાલો સંભાળી રહેલા કેટલાક રાજ્ય મંત્રીઓને પ્રમોશન આપી કેબિનેટ મંત્રી બનાવી શકાય છે. તેમાં પ્રકાશ જાવડેકર અને નિર્મલા સીતારમણ પ્રમુખ છે.