49 વર્ષીય ભય્યૂ મહારાજના આમની સાથે થઇ રહ્યાં છે લગ્ન
વર્ષ 1968માં જન્મેલા ભય્યૂ મહારાજનું સાચું નામ છે ઉદયસિંહ દેશમુખ. તેઓ શુજાલપુરના જમીનદાર પરિવારના છે.
49 વર્ષીય ધાર્મિક ગુરૂ ભય્યૂ મહારાજ, જેમની સામે સત્તાના શિખરે ચડીને બેઠેલા લોકો પણ માથું નમાવે છે, તેઓ આજે રવિવારના રોજ બીજા લગ્ન કરવા જઇ રહ્યાં છે. ગ્વાલિયરની ડૉ.આયુષી સાથે તેઓ સાત ફેરા લેશે. આ લગ્ન સમારંભ બાયપાસના સિલ્વર સ્પ્રિંગ ક્લબમાં યોજાશે. દિવસે હિંદુ રીત અનુસાર લગ્ન અને સાંજે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. રિસેપ્શનમાં લગભગ 200 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ લગ્ન પહેલાં જ ભય્યૂ મહારાજ અને આયુષીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જો કે, આ ફોટોની સત્યતા વિશે વનઇન્ડિયા કોઇ દાવો નથી કરતું.
પીએચડી છે આયુષી
ઉપલબ્ધ જાણકારી અનુસાર આયુષી શર્મા અને ભય્યૂ મહારાજની મુલાકાત થોડા સમય પહેલાં જ થઇ હતી. આયુષીનો પરિવાર મૂળ શિવપુરીનો છે તથા તેણે પીએચડી કર્યું છે. થોડા સમય પહેલાં એક પરિવારના સભ્ય થકી આ બંન્નેની મુલાકાત થઇ હતી. ભય્યૂ મહારાજના માતા અને બહેનોના આગ્રહને કારણે જ બંન્નેએ લગ્નનો નિર્ણય લીધો છે.
પહેલા પત્ની હયાત નથી
ભય્યૂ મહારાજના પહેલાં પત્ની માધવીનું દોઢ વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. નવેમ્બર 2015માં જ તેમના પહેલા પત્નીનું નિધન થયું હતું. ભય્યૂ મહારાજને તેમના પહેલા પત્નીથી એક દિકરી પણ છે, જેનું નામ છે કૂહુ. તે હાલ પૂનામાં અભ્યાસ કરી રહી છે. ભય્યૂ મહારાજે થોડા દિવસ પહેલાં જ પોતાના પૂર્વ સાર્વજનિક જીવનથી સંન્યાસ લીધો હોવાની ઘોષણા કરી હતી.
જાહોજલાલી પૂર્ણ જીવન
વર્ષ 1968માં જન્મેલ ભય્યૂ મહારાજનું સાચું નામ છે, ઉદયસિંહ દેશમુખ. તેઓ શુજાલપુરના જમીનદાર પરિવારના છે. તેઓ ભૂતકાળમાં કપડાની એક બ્રાન્ડ માટે મોડેલિંગ પણ કરી ચૂક્યાં છે. આજે દેશના તમામ દિગ્ગજ નેતાઓ સાથે તેમનો સંપર્ક છે. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તેઓ આગળ પડીને ભાગ લે છે. ભય્યૂ મહારાજ સદગુરૂ ધાર્મિક ટ્રસ્ટનું સંચાલન કરે છે. તેમનો મુખ્ય આશ્રમ ઇન્દોરમાં આવેલ છે. ભય્યૂ મહારાજનું જીવન જાહોજલાલી પૂર્ણ છે, તેમની પાસે મર્સિડીઝ જેવી મોંઘી ગાડીઓ છે અને તે રોલેક્સ બ્રાન્ડની ઘડિયાળ પહેરે છે.
કેમ ચર્ચામાં આવ્યા ભય્યૂ મહારાજ?
અણ્ણા હજારેનું આંદોલન સમાપ્ત કરવા માટે કેન્દ્ર સરકારે ભય્યૂ મહારાજને દૂત બનાવી અણ્ણા હજારે પાસે મોકલ્યા હતા. આ કારણે તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા હતા. અણ્ણાએ ભય્યૂ મહારાજના હાથે જ્યૂસ પીને પોતાના ઉપવાસ તોડ્યા હતા. વડાપ્રધાન બનતાં પહેલાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી પણ સદભાવના ઉપવાસ પર બેઠા હતા. તેમનો ઉપવાસ ખોલવા માટે પણ ભય્યૂ મહારાજને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
દિગ્ગજો લઇ ચૂક્યાં છે આશ્રમની મુલાકાત
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, પીએમ નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ, શરદ પવાર, લતા મંગેશકર, ઉદ્ધવ ઠાકરે, મનસેના રાજ ઠાકરે, આશા ભોંસલે, અનુરાધા પૌડવાલ વગેરે જેવા લોકો ભય્યૂ મહારાજના આશ્રમની મુલાકાત લઇ ચૂક્યાં છે.
અહીં વાંચો
મન કી બાતઃ ન્યૂ ઇન્ડિયામાં VIP નહીં, EPI(Every Person is Imp) હશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગે પોતાના માસિક રેડિયો પ્રોગ્રામ મન કી બાત થકી દેશવાસીઓનું સંબોધન કર્યું હતું.