નવી દિલ્હી, 24 માર્ચઃ હિન્દુવાદી સંગઠન શ્રીરામ સેનાના વિવાદિત પ્રમુખ પ્રમોદ મુતાલિક ભાજપમાં સામેલ થયા બાદ પક્ષની ચારેકોર ટીકા થવા લાગી, જેને લઇને ભાજપે ગણતરીના કલાકોમાં જ આ વિવાદિત પ્રમુખથી દૂરી બનાવી લીધી છે.
મુતાલિકને પક્ષના સભ્ય બનાવવાના નિર્ણયને લઇને ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકર ઘણા નારાજ હતા. તેમણે આ અંગે પક્ષ અધ્યક્ષ રાજનાથ સિંહ સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સૂત્રો અનુસાર ત્યારબાદ નિતીન ગડકરી, અરૂણ જેટલી અને રાજનાથ સિંહ વચ્ચે આ અંગે ફોન પર ચર્ચા થઇ.
પાર્ટીમાં વધતી નારાજગીને જોઇને રાજનાથ સિંહે આ મુદ્દે કર્ણાટકના પ્રદેશ પ્રભારી સાથે વાત કરી અને બાદમાં મુતાલિકનું સભ્ય પદ ખારિજ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. નોંધનીય છે કે, આ પહેલા પ્રમોદ મુતાલિકને રવિવારે સવારે ભાજપના રાજ્ય એકમના પ્રમુખ પ્રહ્વાદ જોશી, પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર અને પૂર્વ ઉપમુખ્યમંત્રી કેએસ ઇશ્વરપ્પા સહિત તમામ દિગ્ગજ નેતાઓની હાજરીમાં પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા.