BBC ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ સ્ક્રીનિંગ દરમિયાન JNUમાં પથ્થરમારો
ફરીથી જેએનયુ વિવાદમાં આવ્યુ છે. હવે પીએમ મોદી પર બનેલી બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનિંગ દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી છે.
નવી દિલ્હી : બીબીસીની ડોક્યુમેન્ટ્રી ધ મોદી ક્વેશ્ચનને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે JNUમાં મોટી બબાલ થઈ છે. હાલમાં જ હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના એક ગ્રુપે કેમ્પસમાં આ ડોક્યુમેન્ટ્રી ભેગા થઈને જોઈ હતી. આ ઘટના બાદ યુનિવર્સિટી પ્રશાસને રિપોર્ટ માંગ્યો છે. હવે જેએનયુમાં પણ આવી જ બબાલ સામે આવી છે.
સમાચારો અનુસાર, આ ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનિંગને રોકવા માટે પ્રશાસને વિદ્યાર્થી સંઘ કાર્યાલયની વિજળી કાપી નાખી હતી. મળતી વિગતો અનુસાર, વિદ્યાર્થીઓના એક જૂથ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે. વિગતો અનુસાર, જેએનયુ સ્ટુડન્ટ યુનિયન મંગળવારે રાત્રે 9 વાગે ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ કરવાની હતી. જેને પ્રશાસને મંજૂરી નહોતી આપી. હવે લેફ્ટ સમર્થિત સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ આયશી ઘોષે આરોપ લગાવ્યો કે બ્લેકઆઉટ માટે વહીવટીતંત્ર જવાબદાર છે.
રિપોર્ટ અનુસાર પથ્થરમારો થયો હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. વિગતો મુજબ એબીવીપી અને વામપંથી વિદ્યાર્થીઓ વચ્ચે પથ્થરમારો થયો છે. આ સિવાય મોડી સાંજે બ્લેકઆઉટ પછી વિદ્યાર્થીઓનું એક જૂથ કેમ્પસમાં કાફેટેરિયામાં પહોંચ્યું અને તેઓએ તેમના ફોનમાં આ ડોક્યુમેન્ટ્રી ડાઉનલોડ કરી અને જોઈ હતી.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે બીબીસીની ડોક્યુમેન્ટ્રી 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' ગુજરાત દંગા પર આધારીત છે. આ વખતે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા. આ ડોક્યુમેન્ટ્રીને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને વિપક્ષ સરકાર પર સવાલ ઉઠાવી રહ્યું છે. બીજી તરફ સરકારે ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મુક્યો છે.