ચીનમાં સુષ્મા સ્વરાજ, ‘વધુ એક હુમલાની તૈયારીમાં હતો જૈશ એટલે એરસ્ટ્રાઈક કરી'
ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ રશિયા અને ચીનના વિદેશ મંત્રીઓ સાથે બેઠકમાં શામેલ થવા માટે ચીન પહોંચી ચૂક્યા છે.
ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ રશિયા અને ચીનના વિદેશ મંત્રીઓ સાથે બેઠકમાં શામેલ થવા માટે ચીન પહોંચી ચૂક્યા છે. સુષ્મા સ્વરાજે ચીન પહોંચ્યા બાદ ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી અને આ બેઠકમાં તેમણે ચીન સામે પુલવામા આતંકી હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. સુષ્મા સ્વરાજે કહ્યુ કે પુલવામા હુમલામાં જૈશ એ મોહમ્મ્દનો હાથ છે કે જે પાકિસ્તાનની ધરતીથી સંચાલિત થઈ રહ્યુ છે.
વિદેશ મંત્રીએ ઉઠાવ્યો પુલવામા આતંકી હુમલાનો મુદ્દો
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી અને બેઠકમાં જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યુ કે હું એવા સમયમાં ચીન આવી છુ જ્યારે ભારતમાં શોક અને ગુસ્સાનો માહોલ છે. તેમણે કહ્યુ કે આ જમ્મુ કાશ્મીરમાં અમારા સુરક્ષાબળો સામે સૌથી ભીષણ હુમલો છે.
આતંકવાદ સામે બોલ્યા સુષ્મા
ચીનના વિદેશ મંત્રી સાથે બેઠક દરમિયાન સુષ્મા સ્વરાજે કહ્યુ કે આ હુમલો પાકિસ્તાન સ્થિત અને સમર્થિત સંગઠન જૈશ એ મોહમ્મદે કર્યો છે. ચીની વિદેશ મંત્રી વાંગ યી અને રશિયાના વિદેશ મંત્રી સાથે બેઠકમાં સુષ્મા સ્વરાજે કહ્યુ કે હવે આતંકવાદ સામે નિર્ણાયક જંગનો સમય આવી ગયો છે. તેમણે પીઓકેના બાલાકોટમાં એર સ્ટ્રાઈક વિશે જણાવ્યુ. તેમણે કહ્યુ કે, ‘પાકિસ્તાન સતત આતંકી સંગઠનોને શરણ આપવાની વાત નકારતુ આવ્યુ છે. આ દરમિયાન અમને સમાચાર મળ્યા કે જૈશ એ મોહમ્મદ ભારતમાં વધુ આતંકી હુમલા કરવાની ફિરાકમાં છે. ત્યારબાદ ભારત સરકારે તેની સામે કાર્યવાહીનો નિર્ણય કર્યો. અમે આ રીતે લક્ષ્ય નિર્ધારિત કર્યુ કે સામાન્ય લોકોને કોઈ નુકશાન ન પહોંચે.'
પાકિસ્તાન પર હુમલો
સુષ્મા સ્વરાજે કહ્યુ, ‘પુલવામામાં અમારા સુરક્ષાબળો પર આતંકી હુમલો થયો જેમાં 40 જવાન માર્યા ગયા. હવે સમય આવી ગયો છે કે બધા દેશ આતંક સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને તેની સામે નિર્ણાયક કાર્યવાહી કરે.' સુષ્મા સ્વરાજે કહ્યુ, ‘અમે કોઈ મિલિટ્રી કેમ્પને ટાર્ગેટ નથી કર્યા. અમારો હેતુ જૈશના આતંકી કેમ્પો પર કાર્યવાહી કરવાનો હતો.'
આ પણ વાંચોઃ સર્જીકલ સ્ટ્રાઈક 2: આતંકવાદી કેમ્પો પર ભારતીય એર સ્ટ્રાઈકની શું અસર થવાની છે?