સુદિપ્તા સેનને 14 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલાયો
સુદિપ્તા સેન સારધા ગ્રુપના પ્રમોટર છે અને બેંગાલ ચિટ ફંડ કૌભાંડના મુખ્ય આરોપી છે. તેમને દિલ્હીથી બુધવારે મોડી રાત્રે કોલકતા લાવવામાં આવ્યા હતા. જમ્મુ-કશ્મીર રાજ્યની એક કોર્ટે સુદિપ્તા સેનની ચાર-દિવસના ટ્રાન્ઝિટ રીમાન્ડ સુપરત કર્યા છે.
ઈન્વેસ્ટરોના આરોપ બાદ સુદિપ્તા સેન ભાગી ગયા હતા. જમ્મુ-કશ્મીરની પોલીસે ગયા મંગળવારે સોનમર્ગમાંથી તેમની અને તેમના ગ્રુપના બે સહયોગીની ધરપકડ કરી હતી. આ બંને જણ છે, દેબજાની મુખરજી અને અરવિંદ ચૌહાણ. આ ત્રણેય જણ લગભગ એક અઠવાડિયાથી ફરાર હતા. તેમની ફાઈનાન્સ કંપની ઉઠી જતા સેંકડો રોકાણકારોના રૂપિયા ડૂબી ગયા છે.
સુદિપ્તા સેને ભૂગર્ભમાંથી 18 પાનાંનો એક પત્ર સીબીઆઈ એજન્સીને લખ્યો હતો જેમાં તેમણે કરોડો રૂપિયાના ચિટ ફંડ કૌભાંડમાં સંડોવાયેલા મનાતા 22 રાજકારણીઓના નામ આપ્યા હતા. આમાં બે જણ પશ્ચિમ બંગાળના શાસક તૃણમુલ કોંગ્રેસ પક્ષના બે સંસદસભ્યના નામ પણ તેમણે આપ્યા છે. તદુપરાંત કેન્દ્રના એક સિનિયર પ્રધાનની પત્નીનું નામ પણ તેમણે આ યાદીમાં આપ્યું છે.
આ ચિઠ્ઠી બહાર આવતાની સાથે જ રાજકારણીઓની ઊંઘ હરામ થઇ ગઇ છે. હવે તૃણમૂલ કોંગ્રેસ પર દબાણ વધ્યું છે. આગામી સમયમાં તેમાં વધારે નામો ખુલવાની સંભાવના પોલીસને લાગી રહી હોવાથી તેણે વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.