મેડિકલ બેદરકારી માટે AMRIને 6 કરોડનું વળતર ચૂકવવા સુપ્રીમનો આદેશ
નવી દિલ્હી, 24 ઓક્ટોબર : ભારતમાં મેડિકલ ઇતિહાસમાં આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે, સુપ્રીમ કોર્ટે આજે કોલકતા સ્થિત એએમઆરઆઇ હોસ્પિટલને તથા ત્રણ ડોકટરોને 1998માં એક ઇલાજ દરમિયાન મેડિકલ બેદરકારી દાખવવા બદલ રૂપિયા 6 કરોડનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ભારતમાં મેડિકલ નેગ્લિજન્સના કેસોમાં આટલું મોટું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે AMRI અમેરિકામાં વસેલા ભારતીય મુળના એક ડોકટર કૃણાલ શાહાને રૂપિયા 5.96 કરોડનું વળતર ચુકવે. અત્રે નોંધનીય છે કે ઇલાજમાં બેદરકારીને કારણે ડો કૃણાલ શાહાના પત્ની અનુરાધાનું હોસ્પિટલમાં મોત થયું હતું. જસ્ટીસ એસ જે મુખોપાધ્યાય અને જસ્ટીસ વી ગોપાલની ખંડપીઠે હોસ્પિટલને તથા ત્રણેય ડોકટરોને કહયું છે કે તેઓ આઠ સપ્તાહની અંદર ડો શાહાને વળતરની ચૂકવણી કરી આપે.
નેશનલ કન્ઝયુમર ફોરમે વર્ષ 2011માં ડોકટર શાહાને 1.73 કરોડ રૂપિયાનું વળતર ચૂકવી આપવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ વળતરની રકમ વધારતા હોસ્પિટલને કહયું છે કે ડો શાહાને 6 ટકાના દરથી વ્યાજ પણ આપવામાં આવે.
કોર્ટે કહયું છે કે વળતરની કુલ રકમ માંથી ડો બલરામ પ્રસાદ અને ડો સુકુમાર મુખરજી 10-10 લાખ રૂપિયા તથા ડો. હલદર પાંચ લાખ રૂપિયા આઠ સપ્તાહની અંદર આપે. જ્યારે બાકીની રકમ વ્યાજ સહિત હોસ્પિટલે ચુકવવાની રહેશે.