ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ કાયમ,વેપારીઓની માંગણી SCએ નકારી
સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મામલે ફટાકડાના વેપારીઓની અરજી નકારવામાં આવી.
સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધનો નિર્ણય યથાવત રાખ્યો છે. કોર્ટ દ્વારા ફટાકડાના વેપારીઓને કોઇ પણ પ્રકારની રાહત આપવાની સ્પષ્ટ મનાઇ કરવામાં આવી છે. નોંધનીય છે કે, દિલ્હીના ફટાકડાના વેપારીઓએ દિવાળીના દિવસે થોડા સમય માટે ફટાકડા વેચવાની પરવાનગી સુપ્રીમ કોર્ટ પાસે માંગી હતી, સુપ્રીમ કોર્ટે વેપારીઓની આ અરજી નકારી છે. સાથે જ સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, દિલ્હી-એનસીઆરમાં રાત્રે 11 વાગ્યા બાદ ફટાકડાનું વેચાણ નહીં થાય. સુપ્રીમ કોર્ટ દ્વારા 31 ઓક્ટોબર સુધી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દિવાળી પર ફટાકડાને કારણે થતા પ્રદૂષણને આ માટે જવાબદાર બતાવવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમે દિવાળી પછી તપાસ કરી શકીશું કે, આનાથી પ્રદૂષણના સ્તરમાં કોઇ પરિવર્તન આવે છે કે નહીં.
દિવાળી પર ફટાકડા અંગે સુપ્રીમ કોર્ટ અને બોમ્બે હાઇકોર્ટના આદેશ બાદ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે પણ મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા માત્ર ત્રણ કલાક માટે ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવી છે. હવે દિવાળીના દિવસે પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં સાંજે 6.30થી રાત્રે 9.30 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં લૉટરીની પ્રક્રિયાથી ફટાકડા વેચવાનું લાયસન્સ આપવામાં આવશે.