કોરોનાથી મોત પર વળતર મામલે સુપ્રીમ કોર્ટે સુરક્ષિત રાખ્યો ચુકાદો, 3 દિવસમાં કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
દેશમાં કોરોના વાયરસથી થયેલ મોતોનુ વળતર, કોવિડ-19 ડેથ સર્ટિફિકેટ મામલે સુપ્રીમ કોર્ટે સોમવારે(21 જૂને) પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો છે.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસથી થયેલ મોતોનુ વળતર, કોવિડ-19 ડેથ સર્ટિફિકેટ મામલે સુપ્રીમ કોર્ટે સોમવારે(21 જૂને) પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે આ મામલે સુનાવણી કરી અને પોતાનો ચુકાદો સુરક્ષિત રાખીને 3 દિવસની અંદર કેન્દ્ર સરકારે આ મામલે જવાબ માંગ્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરીને કહ્યુ હતુ કે દેશમાં કોરોનાથી મરનાર બધા લોકોને સરકાર 4 લાખ રૂપિયાનુ વળતર આપી શકશે નહિ. આની પાછળનો તર્ક આપીને કેન્દ્ર સરકારે સર્વોચ્ચ ન્યાયાલયને કહ્યુ કે આ કોઈ પૂર કે વાવાઝોડુ જેવી કુદરતી આફત નથી કે બધા જીવ ગુમાવનારને વળતર આપવામાં આવે.
સુપ્રીમ કોર્ટે 3 દિવસમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોવિડ-19 ડેથ સર્ટિફિકેટ બનવાની પ્રક્રિયા અને ગાઈડલાઈન્સ સરળ કરવા માટે પણ કહ્યુ છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યુ છે કે શું જે પહેલા કોવિડ ડેથ સર્ટિફિકેટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા તે માન્ય છે કે પછી તેમાં કોઈ ફેરફાર કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે ત્રણ દિવસમાં કેન્દ્ર સરકારને આ મામલે લેખિતમાં પોતાનો જવાબ આપવા માટે કહ્યુ છે.
અરજીકર્તાએ કોર્ટમાં આપ્યો આ હવાલો
અવકાશ પીઠના ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એમઆર શાહે આ મામલે સુનાવણી કરી. અરજીકર્તા રીપક કંસલ અને ગૌરવ કુમાર બંસલ તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર વકીલ એસ ઉપાધ્યાયે કહ્યુ કે કોરોનાથી જીવ ગુમાવનાર પરિવારોની મદદ કરવી સરકારની ફરજ છે. આપણા દેશના બંધારણમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ 12માં આ અંગે ઉલ્લેખ પણ છે. આ એક માનવીય સંકટ છે જેમાં સરકારે લોકોની મદદ કરવી પડશે.
વકીલ અને અરજીકર્તાઓમાંથી એક ગૌરવ બંસલે સુપ્રીમ કોર્ટને કહ્યુ, 'કેન્દ્રએ પોતાના સોગંદનામામાં ખુદ કહ્યુ છે કે આ મહામારી એક વૈશ્વિક સ્વાસ્થ્ય પડકાર છે એવામાં સરકારે વળતર આપવુ જોઈએ. તમે વિચારો, ભારત ગામડાઓનો બનેલો દેશ છે. જ્યાં સામાન્ય રીતે મહિલાઓ ઘરોમાં રહે છે અને ઘરના પુરુષ બહાર કામ કરવા માટે જાય છે. એવામાં જો પુરુષ કોરોનાથી પીડિત થાય અને તેનુ મોત થઈ જાય તો પરિવાર ગંભીર રીતે મુશ્કેલીમાં આવી જાય છે. આવી સ્થિતિમાં તેમની મદદ માટે સરકારે આગળ આવવુ પડશે. માટે હું કોર્ટમાં વળતરની રકમ આપવા માટે માંગ કરુ છુ.'
સૉલિસિટર જનરલ તુષાર મહેતા બોલ્યા - ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કોરોના પર લાગુ કરવામાં આવ્યો છે
આ મામલે કેન્દ્ર સરકારના વકીલ તુષાર મહેતાએ કહ્યુ, 'ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કોરોના મહામારી પર લાગુ થાય છે. અમે કોવિડ મહામારી સામે લડવા માટે ઘણી શક્તિઓનો ઉપયોગ પણ કર્યો છે. નાણા પંચોએ રાજ્યોની મદદ કરી છે. સરકારે કોરોના સંક્રમિત લોકોને ઑક્સિજન અને દવાઓ પૂરી પાડી છે. કેન્દ્ર સરકાર પાસે જે પૈસા ટેક્સ દ્વારા આવે છે, તે કેન્દ્ર સરકાર માટે એક પોર્ટલ ફંડ હોય છે પરંતુ સરકારે તેને રાજ્યોના જરૂરિયાતમંદોની મદદ માટે ફાળવ્યા છે અને ફાળવવામાં આવી રહ્યા છે.' આર્થિક અડચણો અને અન્ય કારણોનો હવાલો આપીને કેન્દ્ર સરકારે રવિવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરીને જણાવ્યુ હતુ કે કોરોનાના કારણે મરનાર લોકોના પરિવારના સભ્યોને 4 લાખ રૂપિયાના વળતરની ચૂકવણી કરી શકાય નહિ.