ઉલટી પડી પ્રભુની ચાલ, રેલવેને લાગ્યો 232 કરોડનો ચૂનો
રેલવે મંત્રી સુરેશ પ્રભુએ વિચાર્યુ હતુ કે ફ્લેક્સી ફેર સ્કીમથી રેલવેની આવક વધશે પરંતુ એવુ કંઇ થયુ નહિ......
રેલવે મંત્રી સુરેશ પ્રભુની ફ્લેક્સી ફેર સ્કીમ ભારતીય રેલવે પર ભારે પડી રહી છે. ખાનગી વિમાન કંપનીઓની જેમ પ્રીમિયમ ટ્રેનોમાં ફ્લેક્સી ફેર સ્કીમ લાગૂ કરવાનો નિર્ણય રેલવેને માફક આવ્યો હોય તેવુ લાગતુ નથી.
232 કરોડ રુપિયાનુ નુકશાન
ડેલી મેલના અહેવાલ અનુસાર ઑક્ટોબરના 15 દિવસો દરમિયાન રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસ જેવી ટ્રેનોની આવક ગયા વર્ષની તુલનામાં 232 કરોડ રુપિયા ઓછી થઇ ગઇ છે. એવુ પણ માનવામાં આવી રહ્યુ છે કે આ ખોટ આવનારા દિવસોમાં પણ ચાલુ રહી શકે છે. ન્યૂઝ રિપોર્ટ મુજબ, શિયાળાની રજાઓમાં, ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન પણ રેલવેને ખોટ જઇ શકે છે. ફ્લેક્સી ફેર સ્કીમ લાગૂ થયા બાદ રાજધાની, શતાબ્દી જેવી ટ્રેનોમાં ડિસેમ્બર અને જાન્યુઆરીની મોટાભાગની સીટો ખાલી છે. આ ટ્રેનોમાં એ ટ્રેનો વધારે છે જે ગોવા, કેરલ, મુંબઇ. કોલકત્તા, અમૃતસર, લખનઉ અને ચેન્નઇ જેવા શહેરોને જોડે છે.
પ્રીમિયમ ટ્રેનોની સીટ ભરવાના દરમાં 15-20% નુકશાન
ભારતીય રેલવેના એક અધિકારીના જણાવ્યા અનુસાર ફ્લેક્સી ફેર સ્કીમ લાગૂ થયા બાદ પ્રીમિયમ ટ્રેનોની સીટ ભરવાના દરમાં 15 થી 20 ટકા ખોટ આવી છે. રેલવેમંત્રાલયને આશા હતી કે ફ્લેક્સી ફેર સ્કીમ લાગૂ થયા બાદ તેની આવકમાં વધારો થશે, પરંતુ તેવુ બન્યુ નહિ. અધિકારીઓએ જણાવ્યુ કે આ ટ્રેનો મોંઘી ટિકિટ અને વધુ સમય લેતી હોવાને કારણે લોકો વિમાન યાત્રા વધુ પસંદ કરે છે. સમાચાર અહેવાલમાં તે પણ દાવો કરવામાં આવ્યો છે કે મુંબઇ રાજધાની, ઑગસ્ટ ક્રાંતિ, સિયાલદાહ અને ત્રિવેન્દ્રમ જેવી રાજધાની ટ્રેનોમાં ડિસેમ્બર માટે સીટો હજુ પણ ખાલી છે. સામાન્ય રીતે આ દરમિયાન લાંબુ વેઇટીંગ થઇ જતુ હતુ પરંતુ તેમ બન્યુ નહિ.
પ્રીમિયમ ટ્રેનોનો પ્રવાસ બન્યો મોંઘો
વિમાન કંપનીઓ પ્રવાસીઓને ગોવા, કોચ્ચિ અને મુંબઇ માટે 3000 રુપિયામાં ટિકિટ આપે છે, જે આ ટ્રેનોની ટિકિટ નહિ વેચાવાનું સૌથી મોટુ કારણ છે. લખનઉ અને અમૃતસર જતી ટ્રેનોની પણ આ જ હાલત છે. તમને જણાવી દઇએ કે ફ્લેક્સી ફેર સ્કીમ અંતર્ગત રાજધાની, દુરંતો અને શતાબ્દી ટ્રેનોમાં દરેક 10% ટિકિટ વેચાણ બાદ 10% ભાડુ વધારી દેવામાં આવે છે. એવામાં ટ્રેનની ટિકિટના છેલ્લા ભાડામાં દોઢ ગણો વધારો થઇ જાય છે.
ગયા વર્ષની તુલનામાં 4000 કરોડનુ નુકશાન
રેલવેએ આ યોજના દ્વારા વાર્ષિક વધુ 1000 કરોડ રુપિયાની આવકની આશા હતી. એમાંથી 200 કરોડ રુપિયા ખાલી ઑક્ટોબરમાં આવવાનુ અનુમાન હતુ, પરંતુ ઑક્ટોબર મહિનામાં પહેલા 10 દિવસની આવક જોતા આ અસંભવ લાગી રહ્યુ છે. અહેવાલ મુજબ રેલવેને આ નાણાકીય વર્ષમાં કુલ 3,854 કરોડ રુપિયાનુ નુકશાન થયુ છે. આમાં માલભાડુ પણ સામેલ છે. રેલવેને માલભાડામાં સૌથી વધારે આવક થાય છે. નાણાકીય વર્ષ 2015-16 ના પહેલા છ મહિનામાં રેલવેની આવક 84, 747 કરોડ રુપિયા હતી, જે આ વર્ષે ઘટીને 80,893 કરોડ રુપિયા થઇ ગઇ છે. આ મુજબ રેલવેને ગયા વર્ષની તુલનામાં આશરે 4000 કરોડ રુપિયાનુ નુકશાન થયુ છે.