તાજથી કુતુબ : ગૂગલ બતાવશે 100 ભારતીય સ્મારકોના 360 ડીગ્રી વ્યૂ
નવી દિલ્હી, 4 ઓક્ટોબર : આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ) અને ગૂગલના સંયુક્ત પ્રયાસોના પરિણામ સ્વરૂપ ટૂંક સમયમાં જ આપને ભારતના ઐતિહાસિક સ્મારકોના દર્શન ઓનલાઇન કરવાનો લાભ મળી શકશે. આ સુવિધાને પગલે આપ પ્રેમના પ્રતીક તાજ મહેલથી લઇને લોકોને આશ્ચર્ય પમાડતા કુતુબ મિનારને 360 ડીગ્રી વ્યૂ સાથે જોઇ શકશો.
આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ગુરુવાર 3 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં આવેલા કુતુબ મિનાર કોમ્પ્લેક્સમાં ગૂગલ અને સાંસકૃતિક મંત્રાલય વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ગૂગલ હવે તેના સ્ટ્રીટ વ્યૂમાં શહેરોના ગલીઓ અને નાકાઓ ઉપરાંત ભારતની 100 જેટલી ઐતિહાસિક ધરોહરો અને સ્મારકોના 360 વ્યૂ રજૂ કરશે.
આ અંગે આપવામાં આવેલી માહિતી અનુસાર રાષ્ટ્રીય સ્મારકો અને વિશ્વ અજાયબી જેવી કે તાજ મહેલ, કુતુબ મિનાર, હુમાયુનો મકબરો, ખજુરાહો, અજંતા અને ઇલોરાની ગુફાઓ 360 વ્યૂમાં જોઇ શકાશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત ગૂગલ ભારતમાં પોતાની સ્ટ્રીટ વ્યૂ ટ્રેકર ટેકનોલોજીનો સર્વપ્રથમવાર ઉપયોગ કરશે. તેની મદદથી આ માટે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરશે. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ ભારતના મહત્વના સ્થળોની વર્ચ્યુઅલ ટુર કરવી શક્ય બનશે.
આ પ્રસંગે કેન્દ્રીય સાંસકૃતિક મંત્રી ચંદ્રેશ કુમારી કચોટનું કહેવું હતું કે આ પ્રોજેક્ટથી ભારતીય ધરોહરો લોકોની વધારે નજીક આવશે. યુવાનો વચ્ચે આપણી સાંસ્કૃતિક ધરોહર વધારે લોકપ્રિય બનાવશે. આ અંગે ગૂગલનું કહેવું હતું કે સાંસ્કૃતિક ધરોહરો સુધી સેંકડો કિલોમીટરનું અંતર કાપીને પહોંચી શકવા અસમર્થ વ્યક્તિ આ એપ્લિકેશનની મદદથી માત્ર એક ક્લિક કરીને તેના દર્શન કરી શકશે.