તેલંગાણા વિવાદ : કોંગ્રેસે કરી શાંતિ જાળવવાની અપીલ
હૈદરાબાદ, 9 ઓક્ટોબર : આંધ્ર પ્રદેશનું વિભાજન કરી અલગ તેલંગાણા રાજ્યની રચના કરવાના કેન્દ્રના નિર્ણય સામે સીમાંધ્રમાં વિરોધ ઉગ્ર બની રહ્યો છે ત્યારે શાસક કોંગ્રેસ પાર્ટીએ આ વિસ્તારના લોકોને અપીલ કરી છે કે તેઓ એમનું આંદોલન પડતું મૂકે જેથી કોઈક એવો ઉકેલ લાવી શકાય જેનાથી બંને પક્ષ (સીમાંધ્ર તથા તેલંગાણા)ને લાભ મળી શકે.
કોંગ્રેસ પાર્ટીએ સીમાંધ્રના દેખાવકારોને તેમનું આંદોલન પડતું મૂકી તંદુરસ્ત વાટાઘાટ કરવાની અપીલ કરી છે. આ અપીલ પાર્ટીના મહામંત્રી દિગ્વિજય સિંહે એક નિવેદન દ્વારા કરી છે, જે આંધ્ર પ્રદેશમાં પાર્ટીનો ચાર્જ સંભાળે છે.
આ સાથે કોંગ્રેસે સીમાંધ્રના લોકોને એવી ખાતરી પણ આપી છે કે તેઓ તેમના નિર્ણય પર અડગ રહેશે. આ અંગેની અપીલમાં કહેવામાં આવ્યું હતું કે સીમાંધ્રના લોકોની સુરક્ષા માટે તેઓ કટિબદ્ધ છે. તેલંગાણાના લોકોને પણ હૈદરાબાદમાં રોજગાર અને શિક્ષણની સુવિધા મળે તે માટે કામ કરવામાં આવશે.
તેલંગાણા મુદ્દે શાંતિ જાળવવાની અપીલ કેન્દ્રીય ગૃહ પ્રધાન સુશીલકુમાર શિંદેએ સોમવારે રાત્રે કરી હતી. સીમાંધ્ર મતવિસ્તારોમાંથી લોકસભામાં ચૂંટાઈ આવેલા પાંચ કેન્દ્રીય પ્રધાનો અલગ તેલંગાણાના કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં રાજીનામું આપી ચૂક્યા છે.