જમ્મુ -કાશ્મીરમાં ફરી આતંકવાદી હુમલો, 3 જવાન ઘાયલ, સર્ચ ઓપરેશન યથાવત
જમ્મુ -કાશ્મીરમાં ફરી એક વખત આતંકવાદી ઘટનાઓ વધી રહી છે. આતંકવાદ ફરી ફેલાવા લાગ્યો છે. જમ્મુ કાશ્મીરના પૂંચ વિસ્તારમાં આતંકવાદીઓએ ફરી એકવાર સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે.
નવી દિલ્હી : જમ્મુ -કાશ્મીરમાં ફરી એક વખત આતંકવાદી ઘટનાઓ વધી રહી છે. આતંકવાદ ફરી ફેલાવા લાગ્યો છે. જમ્મુ કાશ્મીરના પૂંચ વિસ્તારમાં આતંકવાદીઓએ ફરી એકવાર સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. આતંકવાદીઓએ પોલીસ અને સુરક્ષા દળોને નિશાન બનાવીને હુમલો કર્યો છે, જ્યારે પોલીસ દળ આ વિસ્તારમાં આતંકવાદીઓના ઠેકાણાઓની ઓળખ કરી રહ્યું હતું, ત્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.
જમ્મુ-કાશ્મીર પોલીસ લશ્કરના આતંકવાદી જિયા મુસ્તફા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી, તે દરમિયાન આ આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 3 પોલીસ અને સેનાના જવાન ઘાયલ થયા હતા. આ હુમલામાં લશ્કરનો એક આતંકી પણ ઘાયલ થયો છે. આ હુમલા બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
તાજેતરમાં મળેલી માહિતી અનુસાર સવારે 10.30 કલાકે શોપિયાના બાબાપોરામાં અજાણ્યા આતંકીઓએ સીઆરપીએફના કાફલા પર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી અમિત શાહ હાલ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાતે છે. આ પ્રવાસની વચ્ચે થયેલા આ આતંકવાદી હુમલાએ સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.
પુંછના ભાટા દુરિયન વિસ્તારમાં છેલ્લા 13 દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં આતંકવાદીઓના અડ્ડા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ માટે જમ્મુ -કાશ્મીર પોલીસ અને આર્મીની સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે અને તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
18 ઓકટોબરના મીડિયા અહેવાલો અનુસાર અજાણ્યા બંદૂકધારીઓએ કુલગામના વાનપોહમાં પ્રવાસી મજૂરોના ઘરમાં ઘૂસીને તેમના પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં 3 પ્રવાસી લોકોને ગોળી વાગી હતી. તેમાંથી 2 ના મોત થયા છે, જ્યારે 1 મજૂરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મૃતકોની ઓળખ રાજા રેશી દેવ, જોગીન્દર રેશી દેવ તરીકે થઈ છે. ઘાયલોનું નામ ચુંચુન રેશી દેવ છે. તમામ બિહારના વતની છે. જે બાદ પોલીસ અને સુરક્ષા દળો દ્વારા આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.
જે પહેલા 16 ઓકટોબરના રોજ શ્રીનગર અને પુલવામા જિલ્લામાં અલગ-અલગ ઘટનાઓમાં આતંકવાદીઓ દ્વારા બે પ્રવાસી લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આતંકવાદીઓએ શનિવારે સાંજે શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં પાણીપૂરી વેચવાવાળાને ઠાર કર્યો હતો. મૃતક પાણીપૂરી વેચવાવાળો શખ્સ બિહારના બાંકા જિલ્લાના રહેવાસી હોવાનું કહેવાય છે, જેની ઓળખ અરવિંદ કુમાર તરીકે થઈ છે.
અન્ય એક ઘટનામાં આતંકવાદીઓએ પુલવામા જિલ્લામાં મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુથાર તરીકે કામ કરતા સગીર અહમદને ગોળી મારી હતી, જે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ અહેમદનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું. સતત બીજા દિવસે આતંકવાદીઓ દ્વારા બિન-કાશ્મીરી મજૂરોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ બે દિવસમાં કુલ ચાર મજૂરોને આતંકવાદીઓએ ઠાર કર્યા છે.
જમ્મુ -કાશ્મીરમાં નાગરિકોને નિશાન બનાવવાની ઘટનાઓ વચ્ચે, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ રવિવારે સંકલ્પ કર્યો કે, નિર્દોષ નાગરિકોના લોહીના દરેક ટીપાનો બદલો આતંકવાદીઓ અને તેમના સહાનુભૂતિઓ ધરાવતા લોકો પાસેથી લેવામાં આવશે. સિંહાએ કહ્યું કે, રાજ્યમાં શાંતિ અને સામાજિક-આર્થિક પ્રગતિ અને લોકોના વ્યક્તિગત વિકાસને દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કેન્દ્રશાસિત પ્રદેશના ઝડપી વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી છે.