દિલ્હી, મુંબઇ પર ફરી આતંકીઓનો ડોળો, મળ્યો ધમકીભર્યો પત્ર
આ પત્રમાં દેશના ઘણા શહેરોમાં હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે. પશ્ચિમી નૌકાદળ કમાનને મળેલી આ ચિઠ્ઠીમાં 21 જુલાઇના રોજ મુંબઇ અને કોલકાતાના અમેરિકન વાણિજ્ય દૂતાવાસ પર હુમલાની ધમકી આપવામાં આવી છે. સાથે સાથે દિલ્હી, મુંબઇ, બેંગલોર, હૈદરાબાદ, ચેન્નાઇ રેલવે સ્ટેશનોને નિશાના પર લેવાની વાત પણ કહી છે. આ પત્રને આઇબી અને ગૃહમંત્રાલયને મોકલી દેવામાં આવ્યો છે.
સૂત્રો પ્રમાણે હુમલાની તારીખો સુરક્ષા એજેન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે આપવામાં આવી છે. આ બધા સ્થળો એ જ છે જેમની રેકી આતંકી ડેવિડ હેડલીએ કરી હતી.
હાલમાં જ સંસદમાં જણાવવામાં આવ્યું હતું કે 9 ફેબ્રુઆરીના રોજ અફજલ ગુરુને ફાંસી આપ્યા બાદ 'યુનાઇટેડ જેહાદ કાઉન્સિલ' સાથે જોડાયેલ આતંકી સંગઠનોએ ભારતમાં જેહાદની જાહેરાત કરી છે. લશ્કર એ તૈયબા આતંકી સંગઠને પણ ભારતના મહત્વપૂર્ણ સ્થળો પર મોટા આતંકી હુમલા કરવાની યોજના બનાવી છે.
ગૃહ રાજ્યમંત્રી આર. પી. એન સિંહે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે સરકાર આતંકવાદીઓ અથવા તેમના સંગઠન દ્વારા ભારતના કોઇ પણ ભાગમાં આતંકી હુમલો કરવાની યોજનાને નિષ્ફળ કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. તેમણે એ પણ કહ્યું કે સંભવિત આતંકી હુમલાથી સંબંધિત કોઇપણ યોજના અથવા ધમકી અંગે મળેલી ગુપ્ત જાણકારીથી રાજ્ય સરકારોને જાણ કરવામાં આવી રહી છે.