મોડી રાતથી તોફાન જવાદની અસર દેખાશે, 100 કિમીની ઝડપે પવન ફૂંકાશે!
કોરોના સંકટની વચ્ચે 2021ના છેલ્લા મહિનામાં પણ ચક્રવાતી તોફાન દસ્તક આપવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે ચક્રવાત જવાદને લઈને દેશભરમાં એલર્ટ જાહેર કર્યું છે.
કોરોના સંકટની વચ્ચે 2021ના છેલ્લા મહિનામાં પણ ચક્રવાતી તોફાન દસ્તક આપવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે ચક્રવાત જવાદને લઈને દેશભરમાં એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાત વિશે હવે ચેતવણી આપવામાં આવી છે કે આ વાવાઝોડાની ઝડપ 100 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે અને તેજ પવનને કારણે વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થઈ શકે છે.
IMD અમરાવતીના ડિરેક્ટર સ્ટેલા સેમ્યુઅલે જણાવ્યું કે, પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પરનું દબાણ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી 6 કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બનવાની શક્યતા છે. આવતીકાલે શનિવાર (4 ડિસેમ્બર) સવાર સુધીમાં તે ઉત્તર તટીય આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે.
ચક્રવાત જવાદની તીવ્રતા વિશે અમરાવતી હવામાન વિભાગના ડિરેક્ટર સ્ટેલા સેમ્યુઅલે જણાવ્યું હતું કે, આગામી 24 કલાક દરમિયાન તે ફરી ઉત્તર, ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને ઓડિશાના દરિયાકાંઠે આગળ વધે તેવી શક્યતા છે. આ દરમિયાન પવનની ગતિ 80 થી 90 કિમી પ્રતિ કલાકની રહેશે અને તે મહત્તમ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચે તેવી શક્યતા છે. ભારે પવનને કારણે વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થવાની સંભાવના છે.
હવામાન વિભાગ વતી લોકોને સાવધાન કરતા જણાવવામાં આવ્યું છે કે, ખેડૂતોને તેમના પાકને બચાવવા માટે વિનંતી કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારના લોકોએ સલામત સ્થળે રહેવા કહેવાયું છે. ચક્રવાતી વાવાઝોડાને કારણે લોકોએ સુરક્ષિત સ્થળોએ રહેવું જોઈએ કારણ કે ભૂસ્ખલન પણ થઈ શકે છે.
સ્ટેલા સેમ્યુઅલે એમ પણ જણાવ્યું હતું કે, ચક્રવાતી વાવાઝોડાને કારણે ઉત્તર તટીય આંધ્ર પ્રદેશમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં પવનની ઝડપ 90 થી 100 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયામાં ન જવા કહેવાયુ છે.
ચક્રવાત જવાદને કારણે, ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા છે અને ઉભા પાક ખાસ કરીને ડાંગરને સંભવિત નુકસાનની પણ શક્યતા છે. ઓડિશા સરકારે ચક્રવાત જવાદને કારણે થતી પ્રતિકૂળ અસરોને રોકવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. સ્પેશિયલ રિલીફ કમિશનર પ્રદીપ કુમાર જેનાએ તોફાનની તૈયારી વિશે જણાવ્યું કે, સરકાર 266 ટીમો તૈનાત કરવાની યોજના બનાવી રહી છે, જેમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ફાયર સર્વિસ અને ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સ (ODRAF) સામેલ છે.