ધ કાશ્મીર ફાઈલ્સ પર સંજય રાઉતે કહ્યુ - વાત સાચી છે, એક પાર્ટીએ બાકી પક્ષો સામે એક પ્રોપાગાન્ડા ચલાવ્યો...
ધ કાશ્મીર ફાઈલ્સ વિવાદ મામલે શિવસેના સાંસદ સંજય રાઉતે પણ ફિલ્મને લઈને મોટુ નિવેદન આપ્યુ છે.
The Kashmir Files Controversy: વર્ષ 2022માં કમાણીના રેકૉર્ડ તોડનાર વિવેક અગ્નિહોત્રીની બહુચર્ચિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' હાલમાં વિવાદોમાં ઘેરાયેલી છે. ગોવામાં આયોજિત ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઑફ ઈન્ડિયાના સમાપન સમારંભમાં ફિલ્મ મેકર નદાવ લેપિડે ધ કાશ્મીર ફાઈલ્સને એક અશ્લીલ અને પ્રોપાગાન્ડા ફિલ્મ ગણાવી દીધા બાદ હોબાળો મચી ગયો. ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી, અભિનેતા અનુપમ ખેર અને દિગ્દર્શક અશોક પંડિતની આકરી પ્રતિક્રિયાઓ આવી. ત્યારબાદ ઈઝરાયેલના રાજદૂતે આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી. હવે આ સમગ્ર મામલે શિવસેના સાંસદ સંજય રાઉતે પણ ફિલ્મને લઈને મોટુ નિવેદન આપ્યુ છે.
'ફિલ્મ પછી કાશ્મીરમાં સૌથી વધુ હત્યાઓ થઈ'
આ વિવાદ પર સંજય રાઉતે કહ્યુ, 'ધ કાશ્મીર ફાઇલ્સ વિશે આ વાત સાચી છે. આ ફિલ્મ દ્વારા એક પક્ષે બીજા પક્ષો વિરુદ્ધ પ્રોપાગાન્ડા કર્યો હતો. એક પાર્ટી અને સરકાર આ ફિલ્મના પ્રમોશનમાં લાગેલી હતી. આ ફિલ્મ રિલીઝ થયા બાદ સૌથી વધુ હત્યાઓ કાશ્મીરમાં થઈ છે. કાશ્મીરી પંડિતો અને સુરક્ષાકર્મીઓ માર્યા ગયા.'
'કાશ્મીર ફાઈલ્સવાળા લોકો એ વખતે ક્યાં હતા'
સંજય રાઉતે વધુમાં કહ્યુ કે, તે વખતે આ કાશ્મીર ફાઈલ્સના લોકો ક્યાં હતા? કાશ્મીરી પંડિતોના બાળકોએ પણ આંદોલન કર્યુ હતુ, તે વખતે આ લોકો ક્યાં હતા. તે સમયે કોઈ આગળ નહોતુ આવ્યુ, એ વખતે કાશ્મીર ફાઇલ્સ 2.0 ને લઈને આ લોકો કોઈ પ્લાન હતો, હવે એ પણ બનાવો. તમને જણાવી દઈએ કે અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ ધ કાશ્મીર ફાઇલ્સ પર ઇઝરાયલી ફિલ્મ નિર્માતા નદાવ લેપિડના સમર્થનમાં આવી છે. સ્વરા ભાસ્કરે ટ્વીટ કર્યુ, 'દુનિયા માટે આ દેખીતી રીતે ખૂબ જ સ્પષ્ટ છે.'
'ભગવાન આમને થોડી સદબુદ્ધિ આપે'
અભિનેતા અનુપમ ખેરે નદાવ લેપિડની ટિપ્પણી સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. અનુપમ ખેરે કહ્યુ, 'કાશ્મીર ફાઈલ્સ અંગે હું તે વ્યક્તિને કહીશ કે ભગવાન તેમને બુદ્ધિ આપે. ગણપતિજી તેમને થોડી બુધ્ધિ આપે. જો પ્રલય સાચુ હોય તો કાશ્મીરી પંડિતોનુ પલાયન પણ સાચુ છે. તે સંપૂર્ણપણે સુનિયોજિત છે, આનુ પ્લાનિંગ કરવામાં આવ્યુ છે કારણ કે આનાપછી તરત જ એક ટૂલકીટ ગેંગ સક્રિય થઈ ગઈ. પરંતુ, તેમનુ આ નિવેદન સંપૂર્ણપણે શરમજનક છે. ભગવાન તેમને બુદ્ધિ આપે કે તેઓ તેમના હેતુને પરિપૂર્ણ કરવા માટે આવા પ્લેટફોર્મ પરથી સમુદાય સાથે બનેલી દુર્ઘટનાનો ઉપયોગ ન કરે.