કાનપુર કાંડના માસ્ટરમાઇન્ડ ગેંગસ્ટર વિકાસ દુબેની જિંદગીની કહાની
વિકાસ દુબેએ કેટલીક એવી ઘટનાઓને અંજામ આપી હતી જે પોલીસ અને સરકાર માટે પડકારજનક બની ગઇ હતી. આ એજ અપરાધી છે જેણે 2001માં રાજનાથ સિંહ સરકારના મંત્રી સંતોષ શુક્લાની પોલીસ સ્ટેશને ઘૂસીને હત્યા કરી હતી
- પોલીસ સ્ટેશનમાં ઘૂસી મંત્રીની હત્યા કરી હતી
- પોલીસ કર્મચારીઓએ પણ જુબાની ના આપી
- પોલીસની આંખોમાં ધૂળ નાખી ભાગતો રહ્યો
- ઉજ્જૈનથી વિકાસ દુબેના અંતિમ ચેપ્ટરનું પહેલું પાનું લખાયું
કાનપુરકાંડનો માસ્ટરમાઇન્ડ વિકાસ દુબેએ આખરે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું હતું. તેણે મહાકાલ પોલીસ સ્ટેશનમાં જઇ આ કાર્યવાહીને અંજામ આપી. જે બાદ પોલીસે તેની ધપકડ કરી લીધી. બાદમાં અહેવાલ સામે આવ્યા કે કાનપુર લાવતી વખતે SITના કાફલાની ગાડીનો અકસ્માત થયો હતો દરમિયાન રિવોલ્વર છીનવી વિકાસ દુબેએ ભાગવાનો પ્રયાસ કરતાં તેને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો. વિકાસ દુબેની કરતૂતો જાણી તમે અંદાજો લગાવી શકો કે તે કોઇ સાધારણ અપરાધી નથી. તેનો અપરાધિક ઈતિહાસ લાંબો છે. વર્ષ 2000થી લઇ આજ સુધી તેણે અગણિત અપરાધ કર્યા છે. કેટલાય મામલામાં તે છૂટી ગયો તો કેટલાય મામલા અદાલતમાં પેન્ડિંગ છે.
વિકાસ દુબેએ કેટલીક એવી ઘટનાઓને અંજામ આપી હતી જે પોલીસ અને સરકાર માટે પડકારજનક બની ગઇ હતી. આ એજ અપરાધી છે જેણે 2001માં રાજનાથ સિંહ સરકારના મંત્રી સંતોષ શુક્લાની હત્યા પોલીસ સ્ટેશનની અંદર ઘૂસીને કરી હતી. આ મામલોએ બહુ ગરમાવો પકડ્યો હતો. પરંતુ તેનો ખોફ એટલી હદે વધી ગયો હતો કે વિકાસ દુબે વિરુદ્ધ જુબાની આપનાર 19 પોલીસકર્મીએ પણ કોર્ટમાં પોતાના નિવેદન બદલી કાઢ્યાં. વિકાસ દુબે સામે 60 જેટલા કેસ નોંધાયેલા છે.
જેલમાં રહીને હત્યા કરાવી
વર્ષ 2001માં વિકાસ દુબે પર કાનપુરના શિવલી પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આવેલ તારાચંદ ઇન્ટર કોલેજના સહાયક મેનેજર સિદ્ધેશ્વર પાંડેની હત્યાનો આરોપ લાગ્યો હતો. આ ઉપરાંત 2000માં જ તેના પર કાનપુરના શિવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામબાબૂ યાદવની હત્યા મામલે જેલમાં રહી ષડયંત્ર રચવાનો આરોપ લાગ્યો હતો.
વર્ષ 2004માં કેબલ ઓપરેટર દિનેશ દુબે હત્યા મામલે પણ વિકાસ પર આરોપ છે. જ્યારે 2018માં પોતાના જ કાકાના દીકરા અનુરાગ પર વિકાસ દુબેએ જીવલેણ હુમલો કરાવ્યો હતો. આ દરમિયાન પણ વિકાસ જેલમાં કેદ હતો અને ત્યાંથી જ બધાં ષડયંત્ર રચતો હતો. આ મામલે અનુરાગની પત્નીએ વિકાસ સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
વિકાસ દુબેનો પરિવાર
જણાવવામાં આવી રહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં તમામ રાજનૈતિક દળો ઉપર હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની પકડ છે. વર્ષ 2002માં માયાવતીના મુખ્યમંત્રી રહેતાં વિકાસ દુબેએ કેટલીય જમીનો પર ગેરકાયદેસર કબ્જો જમાવ્યો. ગેરકાયદેસર રીતે ઘણી સંપત્તિ બનાવી. આ દરમિયાન બિલ્હૌર, શિવરાજપુર, રિનયાં, ચૌબેપુરની સાથે જ કાનપુર નગરમાં વિકાસ દુબેનો દબદબો હતો.
કાનપુરના હિસ્ટ્રીશીટર વિકાસ દુબે ત્રણ ભાઇઓ છે. સૌથી મોટો વિકાસ, પછી દીપૂદુબે અને તે બાદ અવિનાશ દુબે. સૌથી નાના ભાઇ અવિનાશની હત્યા થઇ ગઇ હતી. વિકાસના પિતાનું નામ રામકુમાર છે, જે બિકરૂ ગામમાં જ રહે છે, જ્યારે મા સરલા દુબે છે, જેઓ લખનઉમાં રહે છે.
એમબીબીએસનો અભ્યાસ કરે છે એક દીકરો
વિકાસ દુબેની ત્રણ બહેન બિટ્ટન, કિરણ અને રેખા છે, જેમાંની બિટ્ટનનાં લગ્ન શિવલીમાં થયાં છે કિરણના લગ્ન ઉન્નાવમાં અને રેખાના લગ્ન રામપુરમાં થયાં છે. જેમાંથી કિરણ અને રેખા મૃત્યુ પામી ચૂકી છે. વિકાસ દુબેએ પચ્ચીસ વર્ષ પહેલા પોતાના મિત્ર રાજૂ ખુલ્લર શ્રીવાસ્તવની બહેન ઋચા સાથે લવ મેરેજ કર્યા હતા. જેનાથી વિકાસને બે દીકરા છે આકાશ અને શાનૂ.
વિકાસ દુબેનો મોટો દીકરો આકાશ વિદેશથી એમબીબીએસ કરી રહ્યો છે, જ્યારે શાનૂ ઇન્ટર કરી રહ્યો છે અે પોતાની મા અને દાદી સાથે લખનઉમાં રહે છે. વિકાસ દુબેએ રસૂલાબાદથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ જે બાદ ગ્રેજ્યુએશન પણ કર્યું. વિકાસ દુબેની પત્ની અને દીકરાને લખનઉથી ફરાર કરાવવામાં વિકાસના સહયોગી જય વાજપેયીની ભૂમિકા સામે આવી છે.
શું થયું હતું એ રાતે
જણાવવામાં આવી રહ્યું છે કે બિલ્હોરના સીઓ દેવેન્દ્ર મિશ્રા, શિવરાજપુરના એસઓ મહેશ યાદવ, બે સબ ઇન્સપેક્ટર અને 4 હવાલદાર શહીદ થઇ ગયા. આ ઉપરાત સાત પોલીસકર્મી ઘાયલ થયા છે, જેમાં કેટલાયની હાલત ગંભીર છે. ઉત્તર પ્રદેશના ડીજીપી એચસી અવસ્થીએ કહ્યું કે વિકાસ દુબે વિરુદ્ધ કેટલાક દિવસ પહેલા હત્યાના પ્રયાસનો કેસ નોંધાયો હતો. પોલીસ વિકાસ દુબેની ધરપકડ કરવા ગઇ હતી. ફોર્સ જેવી જ ગામની નજીક પહોંચી કે ત્યાં જેસીબી લગાવી દેવામાં આવ્યાં. જે કારણે ફોર્સની ગાડી ગામની અંદર ના જઇ શકી.
જણાવી દઇએ કે કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યા કરી ભાગી જનાર વિકાસ દુબે પોલીસની નજરે તો ચઢ્યો પરંતુ હાથ નહોતો લાગ્યો. હરિયાણાના ફરીદાબાદમાં વિકાસ દુબે જોતજોતામાં ઑટો પકડી રફૂ ચક્કર થઇ ગયો હતો. જે બાદ યુપી પોલીસ કહી રહી હતી કે હવે વિકાસ દુબેનું એન્કાઉન્ટર શરૂ થઇ ચૂક્યું છે.
કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેનો અંત
વિકાસ દુબેની યુપી પોલીસની 50 ટીમ અને એસટીએફની આખી ટુકડી ખોળી રહી હતી. પરંતુ છતાં વિકાસ કાનપુરમાં આઠ પોલીસકર્મીની હત્યા કરી હરિયાણાના ફરીદાબાદ સુધી પહોંચી ગયો. ફરીદાબાદમાં પણ તે બધાની સામે આવ્યો. પરંતુ પોલીસ એન્કાઉન્ટર તો દૂર, તેને કોઇ અડી પણ નહોતું શક્યું. એકદમ ફિલ્મી સ્ટાઇલમાં તે પોલીસને ચેલેન્જ આપીને ત્યાંથી નીકળી ગયો. જાણે વિકાસ દુબે કહી રહ્યો હોય કે પકડી શકો તો પકડી લો.
અકસ્માત બાદ વિકાસ દુબેએ ભાગવાની કોશિશ કરતા એન્કાઉન્ટરઃ પોલીસ સૂત્ર
ઉલ્લેખનીય છે કે પાછલા 7 દિવસથી યુપ પોલીસ વિકાસ દુબેની તલાશ કરીરહી હતી. પરંતુ વિકાસ દુબે સતત પોલીસની આંખોમાં ધૂળ નાખી ફરાર થઇ જતો હતો. આખરે વિકાસ દુબેએ ગુરુવારે 9 જુલાઇના રોજ ઉજ્જૈનમાં સરેન્ડર કરી દીધું. જો કે આજે વહેલી સવારે અકસ્માત બાદ વિકાસ દુબેએ ભાગવાનો પ્રયાસ કર્યો હોવાથી પોલીસે એન્કાઉન્ટરમાં વિકાસ દુબેને ઠાર માર્યો.