ભગવંત માન સરકારે પંજાબની સરકારી શાળાઓ સુધારવા 130.75 કરોડ રૂપિયાની ફાળવણી કરી
પંજાબ સરકારે સરકારી શાળાઓ સુધારવા મોટી પહેલ કરતા 130.75 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ રૂપિયાથી શાળાઓની સ્થિતી સુધારાશે.
ચંદીગઢ : દિલ્હીમાં શિક્ષણ શ્રેત્રે ક્રાંતિકારી પરિવર્તનો કર્યા બાદ હવે આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર પજાબમાં સરકારી શાળાઓની સ્થિતી સુધારવા પર ભાર મુકી રહી છે. આ માટે હાલમાં જ પંજાબ સરકારે શાળાઓમાં શિક્ષણમાં સુધારા અને સરકારી શાળાઓમાં વ્યવસ્થા ઊભી કરવા તેમજ મજબૂત કરવા અને 1294 શાળાઓમાં 1741 નવા ક્લાસરૂમ બનાવવા 130.75 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
આ મુદ્દે વાત કરતા પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે જણાવ્યુ કે, મંજૂર રકમના પ્રથમ હપ્તા તરીકે 52.23 કરોડ રૂપિયાની રકમ ઈ-ટ્રાન્સફર દ્વારા જિલ્લાઓને મોકલાઈ છે. આરોગ્ય ઉપરાંત રાજ્ય સરકારે શિક્ષણને પ્રાથમિક ક્ષેત્ર તરીકે જાહેર કર્યું છે, જે અંતર્ગત શાળાની ઇમારતોને અપગ્રેડ કરવાની છે અને દરેક વર્ગ માટે અલગ રૂમ બનાવવામાં આવી રહ્યા છે.
તેમણે વર્ગખંડોના આંકડા આપતા આગળ જણાવ્યુ કે, અમૃતસર જિલ્લામાં 191 શાળાઓમાં 251 વર્ગખંડો, બરનાલાની 27 શાળાઓમાં 35, ભટિંડાની 48 શાળાઓમાં 73, ફરીદકોટની 37 શાળાઓમાં 51, ફતેહગઢ સાહિબની પાંચ શાળાઓમાં 6, ફાઝિલકામાં 152 શાળાઓમાં 221, ફિરોઝપુરની 72 શાળાઓમાંથી 93, ગુરદાસપુરની 61 શાળામાં 75, હોશિયારપુરની 81 શાળામાં 96, જલંધરની 21 શાળામાં 25, કપૂરથલાની 23 શાળામાં 28, લુધિયાણાની 74 શાળામાં 126, માલેરકોટલાની 14 શાળામાં 19 વર્ગખંડો બનાવાશે.
આગળ તેમણે જણાવ્યુ કે, માનસાની 28 શાળાઓમાં 37, મોગાની 17 શાળાઓમાં 24, મુક્તસર સાહિબની 69 શાળાઓમાં 96, પઠાણકોટની 11 શાળાઓમાં 11, પટિયાલાની 89 શાળાઓમાં 108, રૂપનગરની 38 શાળાઓમાં 41, સંગરુરની 46 શાળાઓમાં 66, મોહાલી જિલ્લાની 44 શાળાઓમાં 68, શહીદ ભગત સિંહ નગરની 62 શાળાઓમાં 78 અને તરનતારન જિલ્લાની 84 શાળાઓમાં 113 વર્ગખંડો બનશે.
અહીં શિક્ષણ મંત્રીએ કહ્યું કે, પંજાબમાં શાળા શિક્ષણની ગુણવત્તા સુધારવા અને તેને વિશ્વ કક્ષાનું બનાવવાનું તેમનું સપનું છે અને આ તબક્કાના પ્રથમ તબક્કામાં શાળાની ઈમારતોને શાનદાર દેખાવ અપાશે. આ ઉપરાંત તમામ શાળાઓમાં સ્વચ્છતા વ્યવસ્થામાં સુધારો કરાશે.