પથ્થરબાજોની જગ્યાએ અરુંધતી રોયને જીપ સાથે બાંધોઃ પરેશ રાવલ
અરુંધતી રોય કાશ્મીરના મુદ્દે સતત અવાજ ઉઠાવતા આવ્યા છે. વર્ષ 2008માં તેમણે કહ્યું હતું કે, કાશ્મીરને ભારતમાંથી આઝાદ કરવાની જરૂર છે.
"પથ્થરબાજોની જગ્યાએ અરુંધતી રોયને સેનાની જીપ સાથે બાંધવા જોઇએ." આ શબ્દો છે બોલિવૂડ અભિનેતા અને ભાજપ સાંસદ પરેશ રાવલના. તેમણે રવિવારે રાત્રે ટ્વીટ કરી આ વાત કહી હતી. તેમના આ ટ્વીટ પર લોકો ખૂબ પ્રતિક્રિયા આપી હતી. કેટલાકે પરેશ રાવલની વાતનું સમર્થન કર્યું, તો કેટલાકે તેમની આલોચના પણ કરી. જો કે, વિવાદ વધતાં પરેશ રાવલે આ ટ્વીટ ડીલિટ કરી દીધું છે.

ગત મહિને કાશ્મીરના પથ્થરબાજનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક યુવાનને સેનાની જીપ સાથે બાંધેલો દેખાડવામાં આવ્યો હતો. કાશ્મીરના પથ્થરબાજોને ચેતવણી આપતો આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો. આ મામલે જમ્મુ-કાશ્મીરના વિરોધ પક્ષના નેતા ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી પોતાનો વિરોધ જાહેર કર્યો હતો તથા તુરંત તપાસ કરવા વિનંતી કરી હતી.

આ સંદર્ભમાં જ પરેશ રાવલે લેખિકા અને રાજકીય કાર્યકર્તા અરુંધતી રોય પર નિશાન સાધતાં ઉપરોક્ત ટ્વીટ કર્યું હતું. અરુંધતી રોય કાશ્મીરના મુદ્દે સતત અવાજ ઉઠાવતા આવ્યા છે. વર્ષ 2008માં તેમણે કહ્યું હતું કે, કાશ્મીરને ભારતમાંથી આઝાદ કરવાની જરૂર છે. થોડા દિવસો પહેલાં જ ખબર આવી હતી કે, એક પાકિસ્તાની અખબારને આપેલ નિવેદનમાં અરુંધતીએ કહ્યું કે, ભારતીય સેનાના તમામ જવાનો મળીને પણ કાશ્મીરની આઝાદી માટે લડત આપતા લોકોને હરાવી નહીં શકે. આ ખબર ખોટી સાબિત થઇ છે, અરુંધતીએ પાકિસ્તાની અખબારને કોઇ નિવેદન આપ્યું નહોતું.
પરેશ રાવલના આ ટ્વીટ પર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પ્રતિક્રિયા આપતાં કહ્યું છે, 'એ વ્યક્તિ કેમ નહીં જેમણે પીડીપી/બીજેપીનું ગઠબંધન કરાવ્યું.' ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હાલ ભાજપ અને પીડીપીની ગઠબંધનની સરકાર છે, આથી ભાજપના સાંસદ પરેશ રાવલનું આ ટ્વીટ મોટો વિવાદ ઊભો કરી શકે એમ છે.
{promotion-urls}












Click it and Unblock the Notifications
