આજે શહીદ દિન : ભગત સિંહે કહ્યું હતું ઇન્કલાબ ઝિન્દાબાદ
દેશભકત વીર કિશનસિંહની ધર્મપત્નિ વિધાવતીએ 28 સપ્ટેમ્બર 1907, શનિવારે સવારે 9 કલાકે બંગા ગામમાં એક પુત્ર રત્નને જન્મ આપ્યો એનું નામ ભગતસિંહ રાખવામાં આવ્યું. એનું નામ ભગતસિંહ શા માટે રાખવામાં આવ્યુ એની પણ એક રોચક કથા છે. કહેવાય છે કે એમના જન્મ દિવસે જ ચાચા સ્વર્ણસિંહ જેલમાંથી મુકત થયા સરદાર કિશનસિંહ નેપાળથી પાછા ફર્યા અને સરદાર અજિતસિંહનાં છુટવાના સમાચાર પણ એ દિવસે મળયા . આ કારણો નજર સામે રાખી દાદીએ એમનું નામ ભગતસિંહ પાડયું અને સાચે જ ભગતસિંહ ભાગ્યશાળી સાબિત થયા. તેમણે પોતાના બલિદાનથી ન કેળવ પોતાનાં પરિવારનું નામ વિશ્વભરમાં રોશન કર્યુ બલ્કે મા ભારતનું મસ્તક હંમેશા ગૌરવથી ઊંચું કરી દીધુ.
ભગતસિંહે જે સમયમાં વિધાર્થી જીવન વ્યતીત કરવાનું શરૂ કર્યુ એ દરમિયાન પંજાબની ગલી ગલી ગદર પાર્ટીનાં શહીદો અને વીરોની વાર્તાઓથી ગુંજી રહી હતી. સ્કુલ જીવનમાં બાહય પરિસ્થિતિઓનો પ્રભાવ પણ એમના મન પર પડી રહયો હતો. ક્રાંતિની ચિનગારી એમના પોતાના પરિવારમાંથી પ્રાપ્ત થઇ હતી એમાં હવે બહારની અનેક ચિનગારીઓ ભળી હતી. 1923માં ભગતસિંહ એફ.એ. પાસ કરી બી.એ. માં દાખલ થયા હતા. હવે તેઓ ક્રાંતિકારી દળનાં સક્રિય સદસ્ય બન્યા હતા. 1926માં મહાન ક્રાંતિકારી ભગતસિંહે સુખદેવ, ભગવતીચરણ અને યશપાલ વગેરેનાં સહકારથી 'નવજવાન ભારત સભા'ની સ્થાપના કરી હતી. આ ક્રાંતીકારી આંદોલનનો ખુલ્લો મંચ હતો. જેનો ઉદેશ હતો સાર્વજનિક સભાઓ, નિવેદનો, પત્રિકોઓ વગેરેનાં માધ્યમથી જનતા સાથે સીધો સંપર્ક કરી ક્રાંતિકારી આંદોલનનાં હેતુઓ અને એમનાં વિચારોનો વ્યાપક પણે પ્રચાર કરવો.
ભગતસિંહ માનતા હતા કે જયાં સુધી સશસ્ત્ર ક્રાંતિની વિભાવનાને જનમાનસ સાથે સીધી જોડવામાં નહીં આવે ત્યાં સુધી તેની પૂર્ણ સફળતા શકય નથી. ગુલામીની લાચારીથી પીડાતી જનતાને કચડવી સહેલી છે. પરંત મોટામાં મોટા સામ્રાજયોનું આજે નામ નિશાન પણ રહયું નથી. ભગતસિંહ કહેતા હતા કે, આજે જનતા હવે જાગી ગઇ છે તેથી બ્રિટીશ સામ્રાજયનો સૂર્ય અસ્ત થવામા હવે વાર નહીં લાગે.
આખરે 23મી માર્ચ, 1931ની એ મનહુસ સવાર પણ આવી પહોંચી જયારે આકાશ શોકાતુર સન્નાટાથી ભરપુર હતું. ફાંસીનો દિવસ આવી પહોચ્યો હતો. ક્રાંતિકારી લેનીનનું જીવન ચરિત્રઆપી ગયા હતા તેને ધ્યાનપૂર્વક વાંચવામાં ભગતસિંહ મગ્ન હતા. ભગતસિંહ એકદમ શાંત, પ્રસન્ન, નિર્ભય અને નિશ્ચિત હતા પરંતુ લાહોર સેન્ટ્રલ જેલનાં હેડ જેલર ખાનબહાદુર મોહમ્મદ અકબરનું હૈયુ વારંવાર વલોવાઇ રહયુ હતું.
ફાંસીનાં કેટલાક કલાક પહેલા ચીફ વોર્ડર સરદાર ચતરસિંહ, ભગતસીંહ પાસે જઇ બોલ્યાં "બેટા,હું તારા બાપની ઉંમરનો છું, હવે તારો અંતિમ સમય આવી પહોંચ્યો છે. મારી એક વાત માન " , ભગતસિહે સહજ ભાવે પુછયુ કહો, "હું તમારા માટે શું કરી શકું ?", સરદાર ચતરસિંહે કહયું, "બેટા આ અંતિમ સમયે મારી એક વાત માની લે હું આ ગુટકો લાવ્યોં છું તું વાહે ગૂરૂનું નામ લે અને ગુરૂવાણીનો પાઠ કર."
ભગતસિંહ જોરથી હસી પડયા અને બોલ્યા "મને તમારી વાત માનવામાં શું વાંધો હોઇ શકે ? પરંતુ હવે ખુબ મોડું થઇ ગયુ છે. અંતિમ સમય હવે પાસે છે હવે હું પરમાત્માને યાદ કરીશ તો તે વિચારશે કે આ કેવો કાયર છે આખી જિંદગીમાં મને યાદ ન કર્યો પરંતુ હવે મૃત્યુને સામે જોઇ અને મારી યાદ કેવી આવી ગઇ. હવે તો એ જ યોગ્યી રહેશે કે જે રીતે મે અત્યા્ર સુધી મારૂં જીવન ગુજાર્યું એ રીતે જ દુનિયાથી વિદાય લઉં મારા પર એ જ આરોપ લાગશે કે હું નાસ્તિતક હતો. એવુ તો કોઇ નહીં કહે ને કે હું કાયર અને બેઇમાન હતો અને અંતિમ સમયે જેવું મૃત્યુ જોયું તો બીકને લીધે મારા પગ કાંપવા લાગ્યા."
સરદાર ભગતસિંહ પૂર્વવત ક્રાંતિકારી લેનિનનું પુસ્તક વાંચવામાં પરોવાઇ ગયા. ગમે તે હોય, જયારે તેમને ફાંસી માટે જલ્લાદોએ બોલાવ્યા ત્યારે તેમણે પુસ્તક વાંચવાનું ચાલુ રાખતાં કહયું ઉભા રહો એક ક્રાંતિકારી બીજા ક્રાંતિકારીને મળી રહયો છે. આ ભારતીય ઇતિહાસની અદભુત અને વિરલ ક્ષણ હતી. ભગતસિંહ વચ્ચે હતા. સુખદેવ એમની ડાબી બાજુ અને રાજયગુરૂ જમણી બાજુ હતા. ભગતસિંહ પોતાનો જમણો હાથ રાજયગુરૂના ડાબા હાથમાં નાંખ્યો અને ડાબો હાથ સુખદેવનાં જમણા હાથમાં, ફાંસી પર ચઢતા પહેલા ભગતસિંહ, સુખદેવ અને રાજયગુરૂએ આ પંકિતઓ સમવેત સ્વરમાં ખુબ ઓજસ્વી રીતે ગાઇ...
દિલ
સે
નિકલેગી
મરકર
ભી
વતન
કી
ઉલ્ફત,
મેરી
મિટીસે
ભી
ખુશબુએ
વતન
આયેગી...
ત્યાર પછી ભગતસિંહે હસતા હસતા ત્યાં ઉપસ્થિત મેજિસ્ટ્રેટને કહયું હતું, "મેજિસ્ટ્રેટ સાહેબ, તમે ખૂબ નસીબદાર છો કેમકે તમને પોતાની આંખોથી એ જોવાની તક મળી રહી છે કે હિન્દુસ્તાની ક્રાંતિકારી કેવા હસતા હસતા પોતાના આદર્શો માટે મોતને ગળે લગાવે છે. ત્રણેય પોતપોતાના ફાંસીનો ફંદો પકડયો અને ચુમી પોતાના હાથે ગળામાં નાંખી દીધો. ભગતસિંહ પાસે ઉભેલા જલ્લાદને કહયું કે, આ ફંદાને વ્યવસ્થિત કરી દો. જલ્લાદે આ પહેલા આવા શબ્દો કયારેય સાંભળયા ન હતા. તે થથરી ગયો. તેણે ધ્રુજતા હાથે ફંદા ઠીક કર્યા, ચક્ર કર્યું, તખ્તો ખસ્યો અને ત્રણેય વીર ભારતમાતાની બલિવેદી પર અર્પિત થઇ ગયા.
સાચે જ ભગતસિંહ ભારતીય ક્રાંતિના ઇતિહાસના મહામાનવ હતા. તેઓએ શહીદ બની,અમર થઇ ગયા છે. ભારતની માટીના કણ કણમાં એમનો આત્મા ડોલી રહયો છે અને અનંતકાળ સુધી એમ જ ડોલતો રહેશે. તેમનું બલિદાન ભારયીયોને સદાય યાદ રહેશે.