ભારતના 5 મોટા કૌભાંડ વિશે જાણો વિગતવાર
આઝાદી બાદ જ્યાં ભારતે વિકાસના ક્ષેત્રમાં તમામ સિદ્ધિઓ હાંસલ કરી છે, તે દરમિયાન ઘણા કૌભાંડો પણ સામે આવ્યા છે, જેના કારણે દેશને પણ મોટું નુકસાન થયું છે.
નવી દિલ્હી : આઝાદી બાદ જ્યાં ભારતે વિકાસના ક્ષેત્રમાં તમામ સિદ્ધિઓ હાંસલ કરી છે, તે દરમિયાન ઘણા કૌભાંડો પણ સામે આવ્યા છે, જેના કારણે દેશને પણ મોટું નુકસાન થયું છે. આ કૌભાંડોમાં માત્ર દેશના પૈસાની જ લૂંટ કરવામાં આવી ન હતી, પરંતુ દેશના ઘણા રાજકીય વ્યક્તિઓ અને કૌભાંડીઓના જોડાણની સ્ટોરીસ પણ સામે આવી હતી. અજે આપણે આવા કેટલાક મોટા કૌભાંડોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ.
શારદા ચિટ ફંડ કૌભાંડ
પશ્ચિમ બંગાળની ચિટ ફંડ કંપની શારદાએ લોકોને છેતરવા માટે ઘણી લોભામણી ઓફર કરી હતી. આ અંતર્ગત કંપનીએ લોકોને જુદી જુદી યોજનાઓ જારી કરી હતી.
લોકોને લાલચ આપવામાં આવી હતી કે, તેમને તેમની મુડી કરતાં 25 ગણા વધુ નાણા મળશે, જેના કારણે લોકોએ કંપનીમાં ઘણા પૈસા જમા કરાવ્યા હતા, પરંતુ નાણા પર નફો આપવાને બદલે કંપનીએ લોકોને અસલ નાણા પણ પરત આપ્યા ન હતા, જેના પછી તેના પર તપાસ શરૂ થઈ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર શારદાએ વિવિધ કંપનીઓ મારફતે 14 લાખ રોકાણકારો પાસેથી 1,200 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.
કોલસા ફાળવણી કૌભાંડ
કોલસા ફાળવણી કૌભાંડને દેશનું સૌથી મોટું કૌભાંડ માનવામાં આવે છે. વર્ષ 2004થી 2009 વચ્ચે 100 કંપનીઓને ખોટી રીતે કોલસાની ખાણો ફાળવવાનો આરોપ હતો, જેમાં દેશને 1.86 લાખ કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ હતો.
તેમાં તત્કાલીન મનમોહન સરકાર પર હરાજી વગર જાહેર ક્ષેત્ર અને ખાનગી કંપનીઓને દેશના કોલસાની ખાણોની ખોટી ફાળવણીનો આરોપ લગાવ્યો હતો.
કોમનવેલ્થ કૌભાંડ
વર્ષ 2010માં દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સે વિશ્વમાં ભારતનું નામ ઉંચું કર્યું હતું, પણ અફસોસ આ ઘટના પર કૌભાંડની એવી છાપ પડી કે હવે કોમનવેલ્થ ગેમ્સનું નામ સાંભળતા જ દરેકને કૌભાંડ યાદ આવી જાય છે. આ કૌભાંડ વર્ષ 2011માં પ્રકાશમાં આવ્યું હતું અને સુરેશ કલમાડીને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા. દિલ્હીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઘણી છેતરપિંડી થઈ હતી. અંદાજ મુજબ અનુરૂપ સમયે દેશને 70,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
સત્યમ કૌભાંડ
સત્યમ કોમ્પ્યુટર્સ સંબંધિત આ કૌભાંડની ગણતરી દેશના સૌથી મોટા ઓડિટ ફ્રોડમાં થાય છે. સત્યમ કંપનીના સ્થાપક રામલિંગા રાજુએ કંપનીના ખાતાઓમાં હેરાફેરી કરીને કંપનીનો નફો દર્શાવ્યો હતો. જ્યારે કૌભાંડની તપાસ શરૂ થઈ, ત્યારે જાણવા મળ્યું કે જ્યારે કંપનીમાં માત્ર 40,000 કર્મચારીઓ હતા, ત્યારે કંપનીએ કર્મચારીઓની સંખ્યા 53,000 રાખી હતી. આ વધારાના 13 હજાર કર્મચારીઓના નામે પગારના નામે 20 હજાર કરોડ રૂપિયા ઉપાડવામાં આવી રહ્યા હતા.
2 જી સ્પેક્ટ્રમ કૌભાંડ
આ કૌભાંડ સૌપ્રથમ વર્ષ 2008માં પ્રકાશમાં આવ્યું હતું, જ્યારે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને 2 જી સ્પેક્ટ્રમની ફાળવણીમાં ક્ષતિઓ મળી હતી અને ટેલિકોમ મંત્રાલયના અધિકારીઓ સામે કાર્યવાહીની ભલામણ કરી હતી. વર્ષ 2009માં સીબીઆઈએ 2 જી સ્પેક્ટ્રમ કેસની તપાસ માટે કેસ નોંધ્યો હતો. આ કેસમાં તત્કાલીન ટેલિકોમ મંત્રી એ રાજાને રાજીનામું આપવું પડ્યું હતું. જે બાદમાં રાજાના ટેલિકોમ સચિવ સિદ્ધાર્થ બેહુરા અને રાજાના પૂર્વ ખાનગી સચિવની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2017માં તમામ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા.