ત્રણ તલાક બિલ ફરીથી લટક્યુ, રજૂ થઈ શક્યુ નહિ, સંસદ અનિશ્ચિતકાળ માટે સ્થગિત
એનડીએને એકવાર ફરીથી ત્રણ તલાક બિલ મામલે નિષ્ફળતા મળી અને આ બિલ રાજ્યસભામાં રજૂ કરી શકાયુ નહિ. આજે સંસદનો ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ હતો.
18 જુલાઈથી શરૂ થયેલ સંસદનું ચોમાસુ સત્ર આજે સમાપ્ત થઈ ગયુ. ચોમાસુ સત્રની શરૂઆત મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવથી થઈ હતી તો રાફેલ મુદ્દો પણ આ સત્રમાં છવાયેલો રહ્યો. વળી, આ સત્ર દરમિયાન રાજ્યસભાને હરિવંશ નારાયણ સિંહના રૂપમાં નવા ઉપસભાપતિ મળ્યા પરંતુ એનડીએને એકવાર ફરીથી ત્રણ તલાક બિલ મામલે નિષ્ફળતા મળી અને આ બિલ રાજ્યસભામાં રજૂ કરી શકાયુ નહિ. આજે સંસદનો ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ હતો.
ચોમાસુ સત્રના છેલ્લા દિવસે રાફેલ ડિલ અંગે હોબાળો થતો રહ્યો. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોએ રાફેલ ડીલની તપાસ માટે જેપીસી બનાવાની માંગ કરી અને આ દરમિયાન સંસદમાં ખૂબ હોબાળો થયો. વિપક્ષના આ વિરોધ પ્રદર્શનમાં સોનિયા ગાંધી પણ શામેલ રહ્યા. વળી, હોબાળાના કારણે વારંવાર સંસદની કાર્યવાહી સ્થગિત કરવી પડી. પરંતુ સરકાર માટે સૌથી મોટો ઝટકો ત્રણ તલાક બિલ રહ્યુ કે જે રાજ્યસભામાં સર્વસંમતિ મળી ન શકવાને કારણે રજૂ થઈ શક્યુ નહિ.
આ પણ વાંચોઃ3 મોટા ફેરફાર સાથે આજે રાજ્યસભામાં રજૂ થશે ત્રણ તલાક બિલ
હવે આ સરકાર આ બિલને શિયાળુ સત્રમાં રજૂ કરશે. જો કે સરકારની કોશિશ હતી કે આ બિલને ચોમાસુ સત્રમાં જ સંસદમાં રજૂ કરવામાં આવે પરંતુ બિલ અંગે સામાન્ય સંમતિ સાધી શકાઈ નહિ જેના કારણે સરકારને પોતાના પગલા પાછા લેવા પડ્યા. વળી, ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યુ કે શુક્રવારે માત્ર પ્રાઈવેટ બિલો પર ચર્ચા થાય છે તો સરકાર ત્રણ તલાક કેવી રીતે લાવી શકે. જ્યારે કોંગ્રેસના આનંદ શર્મા, સપાના રામગોપાલ યાદવે પણ બિલ રજૂ કરવાનો વિરોધ કર્યો. હવે ત્રણ તલાક બિલ માટે મોદી સરકારને સંસદના આગામી સત્ર સુધી રાહ જોવી પડશે.