લોની ઘટના પર ટ્વિટર ઈન્ડિયાના MDને નોટિસ, 7 દિવસની અંદર પોલિસ સ્ટેશનમાં નોંધાવે નિવેદન
નકલી વીડિયોને રોકવામાં નિષ્ફળ રહેવાના કારણે યુપી પોલિસે ટ્વિટ ઈન્ડિયાને નોટિસ મોકલી છે.
નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત લોનીમાં મુસ્લિમ વૃદ્ધ સાથે મારપીટનો વીડિયો સામે આવ્યા બાદથી જ આ મામલો ચર્ચામાં છે. ઘણા દિગ્ગજ નેતાઓ અને ચર્ચિત હસ્તીઓએ આ વીડિયો શેર કરીને આ મામલા અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી જેના કારણે આ ઘટના ચર્ચામાં છે. આરોપ હતો કે આ સાંપ્રદાયિક મામલો છે પરંતુ જે રીતે ખુદ વૃદ્ધ વ્યક્તિએ આ વાતનો ઈનકાર કર્યો ત્યારબાદ યુપી પોલિસ એક્શનમાં છે. યુપી પોલિસે ટ્વિટર સામે પણ કાર્યવાહી કરવાનુ મન બનાવી લીધુ છે. નકલી વીડિયોને રોકવામાં નિષ્ફળ રહેવાના કારણે યુપી પોલિસે ટ્વિટ ઈન્ડિયાને નોટિસ મોકલી છે.
સાંપ્રદાયિક તણાવ વધારવા માટે શેર કરવામાં આવ્યો વીડિયો
ગાઝિયાબાદ પોલિસે ટ્વિટર ઈન્ડિયાના એમડીને લોની મામલે વાયરલ વીડિયો માટે લીગલ નોટિસ મોકલી છે. સાથે જ એમડીને કહેવામાં આવ્યુ છે કે તે લોની બૉર્ડર પોલિસ સ્ટેશનમાં સાત દિવસની અંદર પોતાનુ નિવેદન નોંધાવે. તમને જણાવી દઈએ કે ટ્વિટર પર લોનીની ઘટનાનો જે વીડિયો વાયરલ થયો છે તેના વિશે આરોપ છે કે લોકોએ આ વીડિયોને સાંપ્રદાયિક તણાવ વધારવાના ઈરાદાથી શેર કર્યો છે અને ટ્વિટર ઈન્ડિયા પર આરોપ છે કે તે આ વીડિયોને રોકવામાં નિષ્ફળ રહ્યુ છે જેના કારણે ગાઝિયાબાદ પોલિસે આ નોટિસ જાહેર કરી છે.
પોલિસ સ્ટેશન આવીને નિવેદન નોંધાવે
નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે ટ્વિટરનો ઉપયોગ કરીને સમાજમાં ઘૃણા ફેલાવવા માટે આ વીડિયોને શેર કરવામાં આવ્યો અને ટ્વિટરે આના પર કોઈ કાર્યવાહી કરી નથી. દેશ પ્રદેશના વિવિધ સમૂહો વચ્ચે શત્રુતા વધારવા અને સૌહાર્દને પ્રભાવિત કરનાર કાર્ય અને લેખને પ્રોત્સાહન આપવામાં આવ્યુ, આવા સમાજ વિરોધી સંદેશને સતત વાયરલ થવા દેવામાં આવ્યા. આ મામલે અમે તપાસ કરી રહ્યા છે માટે તમારુ પણ નિવેદન લેવુ જરૂરી છે. ટ્વિટર ઈન્ડિયાના એમડી મનીષ માહેશ્વરીને કહેવામાં આવ્યુ છે કે તે સાત દિવસની અંદર લોની બૉર્ડર પોલિસ સ્ટેશનમાં આવીને પોતાનુ નિવેદન નોંધાવે.
શું કહેવુ છે પોલિસનુ
ઉત્તર પ્રદેશ પોલિસના જણાવ્યા અનુસાર ગાઝિયાબાદના લોનીમાં મુસ્લિમ વૃદ્ધ વ્યક્તિને ખરાબ રીતે મારવામાં આવ્યા પરંતુ આ મારપીટનનો વીડિયો ખોટી માહિતી સાથે લોકો વચ્ચે શેર કરવામાં આવ્યો. પોલિસનુ કહેવુ છે કે ટ્વિટરે આ વીડિયોની સત્યતા તપાસવી જોઈતી હતી અને ત્યારબાદ જે લોકોએ ખોટી માહિતી શેર કરી તેમને ચેતવણી આપવા સાથે આ પ્રકારની પોસ્ટને ડિલીટ કરવી જોઈતી હતી. પરંતુ ટ્વિટર તરફથી આવુ કરવામાં આવ્યુ નહિ. આ સમગ્ર કેસની વાત કરીએ તો પોલિસનુ કહેવુ છે કે પીડિત અબ્દુલ સમદ તાવીજ બનાવવાનુ કામ કરે છે. આરોપીઓનુ કહેવુ છે કે તેનુ બનાવેલુ તાવીજ કામ નથી કરી રહ્યુ. આ જ કારણ છે કે લોકોએ વૃદ્ધને માર્યા અને તેની દાઢી કાઢી લીધી. પરંતુ આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપીને શેર કરવામાં આવ્યો. આ મામલે સ્વરા ભાસ્કર સામે પણ કેસ નોંધવામાં આવ્યો જેને આ વીડિયોને શેર કર્યો હતો.