બજેટ 2018: ગુજરાતના પરિણામો પરથી આ પાઠ ભણ્યું BJP
ગુજરાતના ઝાટકા બાદ સજાગ બનેલ ભાજપે ખેડૂતો અને ગરીબો પણ ધ્યાન કેન્દ્રિત કર્યુંબજેટ 2018માં સૌથી વધુ ખેડૂતોનો ઉલ્લેખઆ અંગે વધુ વાંચો અહીં...
નાણાં મંત્રી અરુણ જેટલીએ ગુરૂવારે સંસદમાં કેન્દ્રિય બજેટ 2018 રજૂ કર્યું હતું અને આ દરમિયાન તેમણે 22 વાર ખેડૂત શબ્દનો અને 15 વાર કૃષિ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ સિવાય બજેટ ભાષણમાં એમએસએમઇ(માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ), યુનિવર્સલ હેલ્થ પ્રોગ્રામ અને નોકરી અંગેની યોજનાઓનો ઉલ્લેખ હતો. અરુણ જેટલીના બજેટ ભાષણના પહેલા તબક્કાના અંતે મૂંઝવણ થઇ હતી કે વાત કઇ તરફ આગળ વધી રહી છે. વિપક્ષ નેતાઓ સહિત ઘણાને ભાષણનો આ ભાગ ભાજપ સાંસદના રાજકીય સંબોધન જેવું લાગ્યું હતું. લોકોનું માનવું છે કે, તેઓ એ ભાષણમાં સરકારને ગરીબોની ચિંતા કરનારી સરકાર તરીકે રજૂ કરવા માંગતા હતા, જેથી આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં તેઓ વિપક્ષને ટક્કર આપી શકે. કર્ણાટક, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં આ વર્ષે ચૂંટણી યોજાનાર છે અને વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી યોજાનાર છે.
ખેડૂતો અને ગરીબોનું બજેટ
ગુજરાતની ચૂંટણીમાં ભાજપને ધાર્યા કરતા વધુ મહેનત કરવી પડી હતી અને આમ છતાં સારું પરિણામ નથી આવ્યું, જેની પાછળ ખાસ કરીને રાજ્યના ખેડૂતોની પરિસ્થિતિ જવાબદાર માનવામાં આવી રહી છે. આ જ કરાણે નાણાંકીય વર્ષ 2018-19નું બજેટ ખેડૂત અને ગરીબોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે અને ઘણા ભાજપ નેતાઓએ પોતાના નિવેદનમાં બજેટને આ જ રીતે રજૂ કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બજેટ અંગે કહ્યું હતું કે, 'આ બજેટ ગરીબો, ખેડૂતો અને મધ્યમ વર્ગીઓને નવી આશા પૂરી પાડે છે. ન્યૂ ઇન્ડિયા બજેટ સમાજના દરેક વર્ગને સશક્ત કરશે. ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રે આપવામાં આવેલ રેકોર્ડ બ્રેકિંગ ફાળવણીને પરિણામે અભૂતપૂર્વ ગ્રામીણ અને કૃષિ વિકાસ થશે. ગ્રામીણ અને કૃષિ વિકાસ પ્રત્યે સતત સજાગ રહેવું એ અમારી સરકારની ખૂબી છે.'
ગુજરાતની ઝાંખી જીત બાદ સજાગ BJP
ભાજપના જ એક નેતાએ જણાવ્યું હતું કે, 'ભાજપને તેના પોતાના જ ગઢમાં જીતવા માટે ભારે મહેનત કરવી પડી છે અને આમ છતાં ખૂબ ઓછી બેઠકો પર ભાજપની જીત થઇ છે. આથી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ચૂંટણી પહેલાં પાર્ટી પોતાનો રુરલ ફ્રેન્ડલી ફેસ રજૂ કરવા માંગે છે.' ગુજરાતમાં મોહભંગ થયેલા ખેડૂતોએ ભાજપના નેતાઓને પીએમ મોદીનો એમએસપીનો વાયદો યાદ કરાવ્યો હતો. મધ્યપ્રદેશમાં પણ ખેડૂતો એમએસપી મામલે જ ઉગ્ર આંદોલન કરી ચૂક્યાં છે. ભાજપના અન્ય એક નેતાએ કહ્યું કે, 'પાર્ટી હવે ખેડૂતોની વધુ અવગણના નહીં કરી શકે.'
ખેડૂતોના કલ્યાણ માટે કટિબદ્ધ સરકાર
મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કટિબદ્ધ છે એ વાતની ખાતરી કરાવવા જ અરુણ જેટલીએ ખેડૂતોની આવક વધારવા પર ભાર મૂક્યો હોય એમ લાગી રહ્યું છે. અરુણ જેટલીએ કહ્યું હતું, અમે કૃષિને એક એન્ટરપ્રાઇઝ તરીકે જોઇએ છીએ અને એ જ જમીનમાંથી વધુ ઉત્પાદન કરવામાં ખેડૂતોની મદદ કરવા માંગીએ છીએ અને સાથે જ તેમના પાક માટે ખેડૂતોને વધુ કિંમત મળે એ દિશામાં પગલું લેવા માંગીએ છીએ.
રોજગારીની તકો
કર્ણાટકમાં આગામી ત્રણ મહિનામાં ચૂંટણી યોજાનાર છે, જે માટે અરુણ જેટલીએ બેંગલુરુ માટે 17 હજાર કરોડના ખર્ચે લગભગ 160 કિમીના સબર્બ નેટવર્કનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. 2014ની ચૂંટણી પહેલાં પીએમ મોદીએ વધુ રોજગારીની તકો અંગે વાયદાઓ કર્યા હતા, એની સામે આજે રોજગારની તકો ઊભી ન કરી શકવા બદલ સતત મોદી સરકારને નિંદાનો સામનો કરવો પડી રહ્યો છે. આનો જવાબ આપતાં અરુણ જેટલીએ રોજગારીની તકો તરફ લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું.