UP Civic Poll 2017: “ગુજ.ની વાત કરનારાઓને મળ્યો સણસણતો જવાબ”
ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથે ભાજપની જીત અંગે વ્યક્ત કરી ખુશીમાયાવતીને પણ મળ્યા સારા સમાચારસપા અને કોંગ્રેસ રહી ગયા પાછળ
ઉત્તરપ્રદેશમાં યોજાયેલ નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીમાં મોટા ભાગની બેઠકોના પરિણામ આવી ગયા છે. વર્ષ 2014 અને 2017ની માફક જ આ વખતે પણ યુપીની જનતાએ ભાજપ પર વિશ્વાસ દેખાડ્યો છે. આ ચૂંટણીમાં મળેલ જીતથી યોગી આદિત્યનાથે કહ્યું કે, જે લોકો આ ચૂંટણીને ગુજરાત સાથે જોડી રહ્યા હતા, તેમની આંખો આ ચૂંટણીના પરિણામોથી ખુલી જશે. આ ચૂંટણી અમને જવાબદાર બનાવવા માટે છે. રાજધાની લખનઉ સહિત 16 મહાનગર પાલિકા, 198 નગરપાલિકા અને 438 ગ્રામ પંચાયતોની ચૂંટણી ત્રણ તબક્કામાં થઇ હતી. 16 મહાનગર પાલિકામાંથી 15 ભાજપ ઉમેદવારોનો વિજય થયો છે.
આ ચૂંટણીથી ઉત્તરપ્રદેશના માયાવતીના પક્ષ બહુજન સમાજ પાર્ટી માટે પણ સારા સમાચાર લાવી છે. મેયરની ચૂંટણીમાં અલીગઢ અને મીરુતમાં બસપાની જીત થઇ છે, જ્યારે કોંગ્રેસ અને સપા એક પણ બેઠક નથી મેળવી શક્યાં. બસપાને દલિત સમાજની બહોળી વસતી ધરાવતા પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને બુંદેલખંડમાંથી વધુ મત મળ્યા છે. ભાજપની વિજયપતાકા ઉત્તરપ્રદેશ નગરપાલિકાની ચૂંટણીમાં લહેરાઇ તો છે, પરંતુ મુખ્યમંત્રી આદિત્યનાથના વોર્ડમાં જ ભાજપને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગોરખપુર નગરપાલિકામાં ભાજપના 70 ઉમેદવારોની જીત થઇ છે, પરંતુ વોર્ડ નં.68થી અપક્ષ ઉમેદવાર નાદિરા ખાતૂનનો વિજય થયો છે. સીએમ યોગીનું નિવાસસ્થાન ગોરખ મંદિર આ જ વોર્ડમાં છે.