સ્નૂપગેટ મુદ્દે કેન્દ્રની પાછીપાની; 16 મે પછી તપાસનો નિર્ણય
નવી દિલ્હી, 5 મે : કેન્દ્રની યુપીએ સરકારે સાથી પક્ષોના દબાણને વશ થઇને નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં એક મહિલાની જાસૂસી કરવાના કથિત સ્નૂપગેટ કાંડની તપાસ અંગે પોતાનું મન બદલ્યું છે. આ કેસમાં તપાસ કરવાનો નિર્ણય હવે 16 મે બાદ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પહેલા નરેન્દ્ર મોદીને સાંકળતા જાસૂસી કાંડમાં તપાસ અંગે યુપીએ સરકારના સાથી પક્ષોમાં જ મતભેદ સર્જાયા હતા. ખાસ કરીને એનસીપીએ અત્યારે આ કેસની તપાસ અંગે વિરોધ નોંધાવ્યો હતો.
બીજી તરફ નેશનલ કોન્ફ્રેન્સના ઓમર અબ્દુલ્લાએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે ગઇ કાલે રાત્રે પિતાજી સાથે વાત કરી રહા્યો હતો ત્યારે તેમણે પણ એમ જ કહ્યું કે યુપીએ 2ના અંતિમ પળોમાં એક તપાસ પંચની રચના બિલકુલ અયોગ્ય છે.
કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા શોભા ઓઝાએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલા જાસૂસી પ્રકરણની ન્યાયિક તપાસ કરાવવા આગળ વધવાના મુદ્દે કોઇ સમજુતી કરવામાં આવશે નહીં.
શુક્રવારે કાયદા પ્રધાન અને કોંગ્રેસના નેતા કપિલ સિબલે જણાવ્યું હતું કે સરકાર 16 મે, 2014ના રોજ યોજાનારી લોકસભા ચૂંટણી 2014ની મતગણતરી પહેલા જ સ્નૂપગેટ કૌભાંડમાં તપાસ માટે જજના નામની નિમણૂંક કરશે. આરોપ છે કે ગુજરાતમાં વર્ષ 2009માં મોદીના કહેવાથી એક યુવતીની જાસૂસી કરવામાં આવી હતી. તે સમયે રાજ્યના ગૃહમંત્રી અમિત શાહ હતા.