પશ્ચિમ બંગાળમાં સૈનાની તૈનાતી પર સંસદના બંને ગૃહમાં હોબાળો, લોકસભા સોમવાર સુધી સ્થગિત
સંસદના બંને ગૃહોમાં શુક્રવારે પશ્ચિમ બંગાળમાં સેનાની તૈનાતી પર જોરદાર હોબાળો થયો. વિપક્ષે એક સૂરમાં સરકારને ઘેરી...
સંસદના બંને ગૃહોમાં પહેલા જ નોટબંધીના મુદ્દે છેડાયેલા ઘમાસાણની સાથે શુક્રવારે મમતા બેનર્જીને લઇને રાજકારણ ગરમાયુ છે. વિપક્ષે એક સૂરમાં કહ્યુ કે સરકાર સેનાનું રાજનીતિકરણ કરી રહી છે.
લોકસભામાં ટીએમસીએ પશ્ચિમ બંગાળમાં સેનાની તૈનાતીનો મુદ્દો ઉઠાવ્યો. રાજ્યસભામાં પણ ગુલામનબી આઝાદે પશ્ચિમ બંગાળમાં સેનાની તૈનાતીનો મુદ્દો ઉઠાવ્યો. જેના પર સંરક્ષણ પ્રધાન મનોહર પરિકરે જણાવ્યુ કે આ સેનાના નિયમિત અભ્યાસના ભાગ રુપે કરવામાં આવેલી પ્રક્રિયા છે જે છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે. 19 અને 21 નવેમ્બર, 2015 માં પણ આવો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના પર ગુલામનબી આઝાદે કહ્યુ હતુ કે સેના ટોલ ટેક્સ કેવી રીતે લઇ શકે. બંગાળમાં આવો કોઇ કાયદો નથી. રાજ્યના અધિકારો પર હસ્તક્ષેપ કેમ કરવામાં આવી રહ્યો છે.
રાજ્યસભામાં વેકૈયા નાયડૂએ જણાવ્યુ હતુ કે પશ્ચિમ બંગાળને વિશ્વાસમાં લેવામાં આવ્યુ હતુ. આ જ વસ્તુ ગયા વર્ષે પણ થઇ હતી અને એના ગયા વર્ષે પણ થઇ હતી. માયાવતીએ સરકારને ઘેરતા જણાવ્યુ હતુ કે ભારતીય સંવિધાન પર આ એક મોટો હુમલો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પર જબરદસ્તી કરવામાં આવી રહી છે. સમગ્ર હોબાળા વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી 2.30 વાગ્યા સુધી જ્યારે લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.