વર્ણ, જાતિ વ્યવસ્થા ભૂતકાળની વાત છે, એને હવે ભૂલી જવી જોઈએઃ RSS પ્રમુખ મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે સમાજના હિતમાં વિચારનારા બધા લોકોને એ જણાવવુ જોઈએ કે વર્ણ અને જાતિ વ્યવસ્થા ભૂતકાળની વાત છે.
મુંબઈઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે સમાજના હિતમાં વિચારનારા બધા લોકોને એ જણાવવુ જોઈએ કે વર્ણ અને જાતિ વ્યવસ્થા ભૂતકાળની વાત છે. શુક્રવારે મોહન ભાગવતે નાગપુરમાં એક પુસ્તક વિમોચન સમારંભને સંબોધિત કરીને કહ્યુ, 'આપણે હવે વર્ણ અને જાતિની અવધારણાઓને ભૂલી જવી જોઈએ... આજે જો કોઈ આના વિશે પૂછે, તો સમાજના હિતમાં વિચારનારા બધાએ જણાવવુ જોઈએ કે વર્ણ, જાતિ વ્યવસ્થા ભૂતકાળની વાત છે અને આવા ભૂતકાળને ભૂલાવી દેવો જોઈએ.'
લઘુમતીઓને જોખમમાં મૂકવા સંઘનો સ્વભાવ નથીઃ મોહન ભાગવત
આ પહેલા મોહન ભાગવતે કહ્યુ હતુ કે લઘુમતીઓને જોખમમાં મૂકવા ના તો સંઘનો સ્વભાવ અને ના હિંદુઓનો. મોહન ભાગવતનો આ જવાબ કોંગ્રેસ અને વિપક્ષી દળો માટે હતો. કોંગ્રેસ અને વિપક્ષી દળે આરએસએસ પર સમાજને વિભાજિત કરવા અને લોકોને એકબીજા સામે ભડકાવવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો છે.
વિજયાદશમીના પર્વ પર મોહન ભાગવતે કહ્યુ હતુ, 'લઘુમતીઓ વચ્ચે એ ડર પેદા કરવામાં આવે છે કે આપણને(સંઘ) અથવા હિંદુઓથી જોખમ છે, આવુ પહેલા ક્યારેય નથી થયુ અને ના ભવિષ્યમાં થશે. લઘુમતીઓને જોખમમાં મૂકવા એ ના તો સંઘનો સ્વભાવ છે અને ના હિંદુઓનો.'
'હિંદુ સમાજ કોઈનો વિરોધી નથી'
મોહન ભાગવતે વધુમાં કહ્યુ હતુ, 'નફરત ફેલાવનારા, અન્યાય અને અત્યાચાર કરનારા અને સમાજ પ્રત્યે ગુંડાગિરી-ગુનાના કૃત્યો કરનારા સામે આત્મરક્ષા અને આપણી ખુદની રક્ષા સહુ કોઈ માટે એક ફરજ બની જાય છે. પરંતુ અમારા તરફથી ક્યારેય કોઈ ધમકી આપવામાં આવતી નથી. હિંદુ સમાજ, કોઈનો વિરોધી નથી. સંઘ ભાઈચારા, સૌહાર્દ અને શાંતિના પક્ષમાં ઉભા રહેવાનો સંકલ્પ લે છે.'