પંજાબના પટિયાલામાં મોટી બબાલ, શિવસૈનિક અને ખાલિસ્તાની સમર્થકો વચ્ચે હિંસક અથડામણ!
પંજાબના પટિયાલામાં શિવસેના અને ખાલિસ્તાની સમર્થકો વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, આ ઘટના પટિયાલા જિલ્લાના કાલી દેવી મંદિર પાસે બની હતી.
ચંદીગઢ, 29 એપ્રિલ : પંજાબના પટિયાલામાં શિવસેના અને ખાલિસ્તાની સમર્થકો વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, આ ઘટના પટિયાલા જિલ્લાના કાલી દેવી મંદિર પાસે બની હતી. હિંસાની ઘટના બાદ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભગવંત માન સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
મળતી માહિતી મુજબ શિવસેના દ્વારા પટિયાલામાં ખાલિસ્તાન વિરુદ્ધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પટિયાલામાં શિવસેનાના નેતા હરીશ સિંગલાએ રેલીનું આયોજન કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ રેલીમાં ખાલિસ્તાની વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા, ત્યારબાદ બીજા જૂથે શિવસૈનિકો પર હુમલો કર્યો હતો. આ દરમિયાન બંને તરફથી તલવારો લહેરાવામાં આવી હતી અને ઈમારતો પરથી પથ્થરમારો થયો હતો.
આ ઘટનાને લઈને મુખ્યમંત્રી ભગવંત માન તરફથી પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું છે કે પટિયાલામાં અથડામણની ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. મેં ડીજીપી સાથે વાત કરી અને વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. અમે સ્થિતિ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છીએ, પંજાબની અંદરના વાતાવરણને ખલેલ પહોંચાડવાની કોઈને મંજૂરી આપવામાં આવશે નહીં. પંજાબની શાંતિ અને સૌહાર્દ અત્યંત મહત્વ ધરાવે છે.
આ મોટી ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ શિવસેનાના સ્થાનિક નેતા હરીશ સિંગલ સાથે સતત વાતચીત કરી રહ્યા હતા. ડીએસપીએ કહ્યું છે કે અમે બંને જૂથના વડાઓ સાથે વાત કરી રહ્યા છીએ. પોલીસની આ વાતચીત વચ્ચે શિવસેનાએ મોટી કાર્યવાહી કરીને હરીશ સિંગલને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.