Andhra Pradesh Capital : વિશાખાપટ્ટનમ હશે આંધ્ર પ્રદેશનું નવું પાટનગર, CM જગન મોહન રેડ્ડીએ કરી જાહેરાત
Andhra Pradesh Capital : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ મંગળવારના રોજ એક મોટી જાહેરાત કરી છે. જગન મોહન રેડ્ડીએ જણાવ્યું હતું કે, આંધ્ર પ્રદેશની નવી રાજધાની વિશાખાપટ્ટનમ હશે.
Andhra Pradesh Capital : આંધ્ર પ્રદેશના પાટનગર અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ જણાવ્યું હતું કે, વિશાખપટ્ટનમ આંધ્ર પ્રદેશનું નવુ પાટનગર હશે. ઉલ્લેખનીય છે કે, જગન મોહન રેડ્ડી મંગળવારના રોજ માર્ચમાં વિશાખાપટ્ટનમમાં યોજાનારી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની તૈયારી અંગેની બેઠકના સંબોધન દરમિયાન આ વાત કહી હતી.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ જણાવ્યું હતું કે, અહીં હું તમને વિશાખાપટ્ટનમમાં આમંત્રિત કરવા માંગુ છું, જે આગામી દિવસોમાં આપણા રાજ્યની રાજધાની હશે. હું પણ આગામી થોડા મહિનામાં વિશાખાપટ્ટનમ શિફ્ટ થઈશ જઇશ. ઉલ્લેખનીય છે કે, હાલ અમરાવતી આંધ્ર પ્રદેશની રાજધાની છે.
3 અને 4 માર્ચના રોજ યોજાશે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ
જગન રેડ્ડીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વિશાખાપટ્ટનમમાં 3 અને 4 માર્ચના રોજ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરી રહી છે. તેમણે વિવિધ કંપનીઓને આ સમિટમાં ભાગ લેવા અને રાજ્યમાં રોકાણ કરવા વિનંતી કરી હતી.
ત્રણ રાજધાનીઓની દરખાસ્ત
આ અગાઉ જગન મોહન રેડ્ડીની સરકારે ગયા વર્ષે નવેમ્બરમાં વિવાદાસ્પદ આંધ્ર પ્રદેશ વિકેન્દ્રીકરણ અને તમામ ક્ષેત્રોનો સમાવેશી વિકાસ અધિનિયમ 2020 રદ્દ કરી દીધો હતો. તેનો હેતુ રાજ્યમાં ત્રણ રાજધાની બનાવવાનો હતો. જે બાદ રાજ્ય સરકારે વિશાખાપટ્ટનમ (કાર્યકારી રાજધાની), અમરાવતી (લેજિસ્લેટિવ કેપિટલ) અને કુર્નૂલ (ન્યાયિક રાજધાની)નો પ્રસ્તાવ મૂક્યો હતો.