વાવાઝોડા ફેલિન અંગે ઓરિસ્સાને હવામાન વિભાગની ચેતવણી
ભુવનેશ્વર, 10 ઓક્ટોબર : આજે 'વાવાઝોડું ફેલિન' આજે વધારે ઉગ્ર બન્યું છે. જેના પગલે ભારતીય હવામાન વિભાગે તેની નવી ચેતવણીમાં આ વાવાઝોડાને અત્યંત ઉગ્ર તરીકે અપગ્રેડ કર્યું છે. આ ઉગ્રતાને પગલે હવામાન વિભાગે ઓરિસ્સાને સચેત રહેવાની ચેતવણી પણ આપી દીધી છે. નવા અહેવાલ અનુસાર બંગાળના અખાતમાં હવાના નીચા દબાણ બાદ વાવાઝોડામાં પલટાઈ ગયેલું 'ફેલિન' હવે થોડુંક વાયવ્ય ખૂણા તરફ આગળ વધ્યું છે અને ઓરિસ્સાના પારાદિપના અગ્નિ ખૂણાથી 850 કિ.મી.ના અંતરે કેન્દ્રીત થયું છે.
હવામાન વિભાગે ચેતવણી જાહેર કરીને આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સા બંને રાજ્યના વહીવટી તંત્રને કાંઠાના વિસ્તારોમાં અત્યંત સતર્ક રહેવાના આદેશ આપી દીધા છે. હવામાન વિભાગના અપડેટ અનુસાર વાવાઝોડું 'ફેલિન' કલિંગપટનમના અને વિશાખાપટનમના ઈશાન ખૂણે લગભગ 900 કિ.મી. દૂર સ્થિર થયું છે. આ વાવાઝોડું આવતા અમુક કલાકોમાં અત્યંત ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. તે વાયવ્ય ખૂણા તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને આંધ્ર પ્રદેશ તથા ઓડિશાની ઉત્તર દિશાએથી પસાર થશે.
આ પરિસ્થિતિને લીધે આગામી 12 ઓક્ટોબરની રાત્રે કલિંગપટનમ અને પારાદિપ વચ્ચેના કાંઠાઓ પર ત્રાટકે એવી ધારણા છે. તે વખતે પવનની ગતિ કલાકના 175-185 કિ.મી.ની રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, વાવાઝોડું ગઈ કાલે આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ત્રાટક્યું હતું.
આંધ્ર પ્રદેશમાં મુખ્યમંત્રી કિરણકુમાર રેડ્ડીએ તમામ વિભાગો માટે હાઈ એલર્ટ ઘોષિત કરી દીધું છે અને તમામ અધિકારીઓને પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરતા રહેવાની સૂચના આપી છે. જ્યારે ઓરિસ્સા સરકારે 14 જિલ્લાઓમાં કર્મચારીઓની દશેરા રજાઓ રદ કરી છે અને હાઈ એલર્ટ ઘોષિત કર્યું છે.