રૂમ નંબર 345ની કહાણી : થરૂરના સચિવની જુબાની!
નવી દિલ્હી, 18 જાન્યુઆરી : શુક્રવારની રાત્રે લગભગ સાડા આઠ વાગ્યે શશિ થરૂર હોટેલ લીલા પહોંચ્યાં, તો રૂમ નંબર 345નો દરવાજો બંધ હતો. આ રૂમ તેમના નામે બુક હતો. તેમણે દરવાજો ખોલીને જોયું, તો સુનંદા પથારી ઉપર બેહોશ હાલતમાં હતાં. આ માહિતી હોટેલ લીલાની બહાર તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરના અંગત સચિવ અભિનવે આપી.
અભિનવે સમગ્ર ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું કે થરૂર દમ્પતિ પોતાના બંગલ 97, લોધી એસ્ટેટમાં ચાલતાં રંગરોગણના કામ તેમજ સુનંદાની તબિયત સારી ન હોવાના કારણે ગુરુવારે હોટેલ લીલામાં રોકાવા આવ્યુ હતું. શુક્રવારે સવારે શશિ થરૂર કોંગ્રેસના અધિવેશનમાં ભાગ લેવા હોટેલમાંથી નિકળી ગયા હતાં. અધિવેશન બાદ એક અન્ય કાર્યક્રમમાંથી પાછા ફરી રાત્રે લગભગ સાડા આઠ વાગ્યે થરૂર હોટેલ પહોંચ્યાં, તો સુનંદાના રૂમનો દરવાજો બંધ હતો.
અભિનવના જણાવ્યા મુજબ 52 વર્ષીય સુનંદાનું શબ રજાઈની અંદર જડકાયેલુ પડ્યુ હતું. તેમણે નાઇટી પહેરી હતી. શબ ઉપર કોઈ પણ પ્રકારની ઈજાના નિશાન કે સંઘર્ષના ચિહ્નો નહોતા દેખાયાં. અભિનવે લગભગ નવ વાગ્યે બનાવની માહિતી સરોજનીનગર પોલીસ સ્ટેશનના એસએચઓને આપી. લગભગ સવા નવ વાગ્યે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. બનાવની જાણ થતા સંયુક્ત પોલીસ કમિશ્નર વિવેક ગોગિયા, દક્ષિણ જિલ્લા ડેપ્યુટી પોલીસ કમિશ્નર બી એસ જયસવાલ તથા વધારાના ડેપ્યુટી પુલિસ કમિશ્નર પ્રમોદ કુશવાહ પણ બનાવના સ્થળે પહોંચી ગયાં.